જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ ઇમારત ગત તા.૨૩-૬-૨૦૨૩ના રોજ સાંજના
સમયે ધરાશાઈ થઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તેમજ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ
પામનાર ત્રણ લોકોના વારસદારોને મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી પ્રતિ મૃતક દીઠ રૂ.૪ લાખની તેમ કુલ રૂ.૧૨લાખની સહાય
અને ઇજા પામનાર પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ રૂ.૫૦હજાર એમ કુલ રૂ.૨લાખ ૫૦હજારની સહાય મંજૂર કરી દેવામાં આવી
છે. આ સહાય તેમના બેન્ક ખાતામાં DBTના માધ્યમથી જમા કરવામાં આવશે.
આજે રોજ સાંસદશ્રી પૂનમબેન માડમે સાધના કોલોની ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોના
પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. અને તેમણે સાંત્વના પાઠવી હતી. ઘરના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થતા તેમની ખોટ પૂરી થઈ
શકે નહિ પરંતુ તેમના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. સાંસદશ્રીએ
મૃતકોના પરિવારજનો તેમજ બાળકો સાથે વાતચિત કરી તેઓને જરૂર પડે ત્યારે મદદરૂપ થવા જણાવાયું હતું. તેમજ ઇજાગ્રસ્તો
જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામનાઓ વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન સાંસદશ્રી પૂનબેન સાથે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્યો શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી
રિવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, અગ્રણીશ્રી ડો. વિમલભાઈ કગથરા, મામલતદારશ્રી વિપુલભાઈ સાકરીયા તેમજ અન્ય
અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


