જેતપુરની સૌથી જૂની કમરીબાઈ હાઇસ્કુલમાં આજે શાળાનો જર્જરીત થયેલો માલ સામાન એટલે કે શાળાના બાંકડાઓ સહિતનો લોખંડનો ભંગાર એક મોટાડોરમાં ભરવામાં આવતો હતો.
તેવા સમયે જ શહેરના અમુક જાગૃત પત્રકારો શાળાએ પહોંચી જઈને લાગતા વળગતા શિક્ષકોને પૂછપરછ કરતા શિક્ષકો ગેંગે ફેકે કરવા માંડ્યા હતા. જોકે ભંગાર વેચવાના બદલે શાળાના લાગતાં વળગતા સત્તાધીશો એ અત્યારે શાળાના ડેડ સ્ટોરમાં (ગોડાઉનમાં) રખાવવાની તજવીજ હાથ ધરી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે શહેરના ભંગારના ધંધાર્થીએ એ વાત કબુલ હતી કે તે શાળાનો કાટમાળ રુપિયા ૩૨મા ખરીદી રહ્યો છે. પરંતુ પત્રકારો પહોંચી જતા હાલ પૂરતો આ મામલો અટકી ગયો છે.
શાળાના શિક્ષકોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવતું હોવાની વાત બતાવીને પત્રકારોને ઉંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્રકારોએ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચીને આ વાતનું તથ્ય જાણવા પ્રયાસ કર્યો છે. એવી પણ વિગતો મળી રહી છે કે રાજકોટના ડીઓ કોલ રીસીવ ન કરતા હોવાનું જેતપુરના પત્રકારો જણાવે છે.
જાણકારો કહે છે કે કોઈપણ સરકારી સંસ્થા હોય પછી તે શાળા હોય કે ગમે તે આવી સરકારી સંસ્થાના કાટમાળ કે ભંગારને વેચવા માટે કાયદેસરના નિયમો મુજબ અખબારોમાં જાહેરાતો આપીને જાહેર હરાજી કરવામાં આવતી હોય છે. અને હરાજી દરમિયાન સંસ્થાને જે વધારે ભાવ મળે તે વ્યક્તિને પસંદ કરીને ભંગાર વેચવાનો હોય છે.
પરંતુ શહેરની કમરીબાઈ હાઈસ્કૂલમાં બધું બંધ બારણે વેંચાણ કરવાનું કૌભાંડ સફળ થાય તે પહેલા જ પત્રકારોએ શાળા સંચાલકો કે શિક્ષકોની મનની મુરાદ ઉપર પાણી ફેરવી દીધું છે.
શાળાના આચાર્ય શું કહે છે ?
અમારા જેતપુર સ્થિત પ્રતિનિધિએ જ્યારે હાઈસ્કૂલના આચાર્યને આ ભંગાર બાબતે પૂછતા આચાર્ય એ જણાવેલ કે મારે રૂપિયા 45 ભાવ આવે તો ભંગાર વેચવો છે પરંતુ ભંગારના ધંધાર્થીએ માત્ર રૂપિયા 32 આપવા તૈયારી બતાવતા હોય હવે મારે ભંગાર વેચવો નથી. આચાર્ય એ પોતાની સત્તા બતાવતા એવું પણ જણાવેલ કે પોતે શાળામાં જરૂરી ઠરાવ કરીને જરૂર પડે તો આવી રીતે ભંગાર વેચી શકે. જ્યારે જાણકારો કહે છે કે જાહેર હરાજી વગર આવું શક્ય ન બને.
પત્રકારોને સત્ય જણાવવા આચાર્યનો ઇન્કાર
હાઈસ્કૂલના ભંગાર બાબતે મામલો શું છે તે જાણવા માટે શહેરના મોટાભાગના પત્રકારો હાઇસ્કુલ પર પહોંચીને આચાર્યશ્રીને ઇન્ટરવ્યૂ માટે જણાવતા કહેવાય છે કે આચાર્યએ કોઈપણ જાતનું નિવેદન કે ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કરી દીધો હતો. સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે જો આ બાબતે શાળાના આચાર્ય સાચા હોય અને કાયદેસર રીતે જ ભંગાર વેચવાની કાર્યવાહી કરી હોય તો પછી પત્રકારો સામે બોલવામાં કેમ આચાર્ય મોં સંતાડે છે તે વાતની તપાસ કરવી જરૂરી છે.


