જુનાગઢ ના મહાશિવરાત્રીના મેળાની ગઈકાલે મહાશિવરાત્રીની મધ્ય રાત્રે સાધુ સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે
શાંતિપૂર્ણ રીતે પૂર્ણાહુતિ થઈ હતી. ભવનાથમાં લાખો લોકોની સેવા સગવડતા તેમજ ટ્રાફિક વ્યવસ્થા ના સંકલન સહિત જુદી જુદી કામગીરી
માટે પોલીસ, વહીવટી તંત્ર, મહાનગરપાલિકા તંત્રના અધિકારીઓ સહિત સમગ્ર વિભાગો કચેરીઓના કર્મયોગીઓએ સતત ખડે પગે રહીને
સેવાઓ આપી હતી. સાધુ સંતો સંસ્થાઓ સાથે સંકલન કરી ભાવિકોની સગવડતા માટે જહેમત ઉઠાવી હતી. મેળા દરમિયાન વીજ પુરવઠો,
પાણી પુરવઠો, સ્વચ્છતા, એસટી સહીત વાહનોનું પરિવહન, ઇમરજન્સીમાં આરોગ્ય સેવા સહિત તમામ કામગીરી માં તંત્રએ સેવાઓ આપી
હતી. ગઈકાલે શિવરાત્રીના દિવસે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મેળાની મુલાકાત લઇ સુરક્ષા વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું અને સાધુ
સંતોના આશીર્વાદ પણ મેળવ્યા હતા. સાંજે વન અને પર્યાવરણ તથા પ્રવાસન કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પણ મેળાની મુલાકાત લઈ
સાધુ સંતોની રવેડીના દર્શન કર્યા હતા, આ તકે વિધાનસભાનાં ઉપદંડક શ્રી કૈાશિક વેકરીયા, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, મેયર શ્રી ગીતાબેન
પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, મહાનગરપાલિકાના કોર્પોટરશ્રીઓ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બાંભણિયા, મેળા અને પ્રાંત
અધિકારીશ્રી ભૂમિબેન કેશવાલા તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રવેડી દરમિયાન એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ના
માર્ગદર્શનમાં પોલીસ કર્મચારીઓએ કડક બંદોબસ્ત રાખી ભાવિકો માટે રવેડી દર્શન વ્યસ્થા માટે પેટ્રોલિંગ કર્યું હતું.


