Gujarat

પૈસા માટે નહોતું કર્યું, મારા સમાજ માટે મેં ભાજપ સાથે દુશ્મનાવટ કરી છે : પદ્મિનીબા વાળા

પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ ગુજરાતમાં ઠેર- ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે આંદોલનમાં જોડાયેલા રાજકોટના ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિ સામે ફરીએકવાર સવાલો ઉઠાવ્યા હતા. અને કહ્યું કે, આંદોલનમાં રાજકીય પક્ષ આવ્યો જ ક્યાંથી?,કહીને કોંગ્રેસ તરફ ઝૂકાવ પર સામે કર્યો હતો સાથે જ રતનપરના અસ્મિતા સંમેલન બાદ જ્યાં પણ જતાં ત્યાં ખુરસી આપવામાં ન આવતી અને તેમજ વીડિયો પણ ન આવવા દેતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

પદ્મિનીબા વાળાએ ૧૪ દિવસ સુધી અનશન પર ઉતરી રૂપાલા વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો અને સંકલન સમિતિની સરકાર સાથેની બેઠક બાદ સંકલન સમિતિ સામે અવાજ ઉઠાવી સંકલન સમિતિ રાજકારણ કરતી હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયામાં અલગ અલગ ટિપ્પણીઓ પદ્મિનીબા વિશે થઇ રહી છે.

જેનો ખુલાસો કરતા પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, હું કોઈ પક્ષ સાથે સંકળાયેલી નથી. સમાજના હિતની અને સમાજની વાત લઇ નીકળી હતી, મારી સાથે માત્ર એ દિવસે ૧૦ બહેનો હતી. આજે પણ હું સમાજની સાથે જ છું અને રહીશ, જેને જે વાતો કરવી હોય તે કરે હું સમાજની સાથે જ રહીશ.

મહિલા આગેવાને સવાલ કર્યો હતો કે, સમગ્ર આંદોલનમાં રાજકીય પક્ષ આવ્યો જ ક્યાંથી? અત્યારે બધા કોંગ્રેસ તરફ વળ્યા છે, ત્યારે લોકો પણ પ્રશ્ન પૂછશે કે, શું તમે કોંગ્રેસી છો? જો, મેં ભાજપ પાસેથી પૈસા ખાધા હોય તો મારા વિરૂદ્ધમાં પુરાવા લઈ આવો. પૈસાની વાત તદ્દન ખોટી છે, પૈસા માટે નહોતું કર્યું.

મારા સમાજ માટે મેં ભાજપ સાથે દુશ્મનાવટ કરી છે. મને માનસિક રીતે પરેશાન કરવા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક મારા વિરોધીઓ વધુ થઈ ગયા છે. રૂપાલા વિરુદ્ધ પ્રચાર પ્રસાર યથાવત રહેશે. રાજકારણ રચાઈ ગયું છે. સ્વાભિમાનની વાત મને ક્યાંય દેખાતી નથી.