Gujarat

કાયમી ભરતીની માંગ સાથે હનુમાન જયંતિએ રામધૂન-હનુમાન ચાલીસાના પાઠ કર્યા, પોલીસે અટકાયત કરી

ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતાં શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગાંધીનગરમાં છેલ્લા 27 દિવસથી વ્યાયામ શિક્ષકો ધરણા પર બેઠા છે. આંદોલન દરમિયાન શિક્ષકોએ વિવિધ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે. તેમણે અંગ કસરત, સૂર્ય નમસ્કાર અને યોગ કર્યા છે. ભગવાન શ્રી રામને પત્ર લખ્યો છે. પોતાની ડિગ્રીઓ 500થી 1000 રૂપિયામાં વેચવા કાઢી છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે.

વ્યાયામ શિક્ષકોની માંગણીઓ

શિક્ષકોનો મુખ્ય વિરોધ સરકારની ખેલ સહાયક યોજના સામે છે. 11 માસના કરાર આધારિત આ યોજનામાં અનેક ખામીઓ છે. રજાઓના નિયમો અને વેકેશનની ગણતરી અંગે કોઈ સ્પષ્ટતા નથી. શિક્ષકોને 11 માસ પૂરા થયા પહેલાં જ મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે.

પોલીસે આંદોલનકારી શિક્ષકોની અટકાયત કરી

વ્યાયામ શિક્ષકોને વર્ષમાં માત્ર 8 મહિના જ નોકરી મળે છે. બાકીના 4 મહિના તેમને ઘરે બેસવું પડે છે. તેઓ પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાયેલી ખેલ અભિરુચિ કસોટી (SAT)ના આધારે કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. આંદોલન દરમિયાન 20 જેટલા આગેવાનો સામે ગુના દાખલ થયા છે. આજે પણ પોલીસે આંદોલનકારી શિક્ષકોની અટકાયત કરી છે.