Gujarat

અમદાવાદના શેલા બાદ હવે સાણંદના મોટી દેવતી ગામે દીપડો દેખાયો; વન વિભાગે ગોઠવ્યું પાંજરું

સાણંદ નજીક આવેલા મોટી દેવતી ગામે દીપડાના પગલાંના સ્પષ્ટ નિશાન મળ્યા બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક અસરથી સક્રિય બની છે. આ ઘટના બાદ વન વિભાગે તકેદારીના ભાગરૂપે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દીધું છે અને તેને ઝડપી લેવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સાણંદથી આશરે ૧૨ કિલોમીટર દૂર કડી-વિરમગામ રોડ તરફના વિસ્તારમાં દીપડાના પગલાં જાેવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો મોડી રાત્રે સ્થળ પર પહોંચી ગઈ હતી અને દીપડાની હિલચાલની પુષ્ટિ કરી હતી. આ વિસ્તારમાં રહેણાંક અને ખેતીવાડીનો વિસ્તાર હોવાથી દીપડાની હાજરી ગ્રામજનો માટે મોટો ખતરો બની શકે છે.

આશરે ત્રણ અઠવાડિયાના અંતરાલ બાદ અમદાવાદના રૂરલ વિસ્તારમાં દીપડાની આ બીજી સત્તાવાર પુષ્ટિ છે. અગાઉ ૨૧ જુલાઈના રોજ શેલા વિસ્તારમાં દીપડો દેખાયાના અહેવાલો હતા, પરંતુ ત્યારે તેની હાજરીના પુરાવાઓ મળ્યા ન હતા. આ વખતે મોટી દેવતી ગામે દીપડાની હાજરીની પુષ્ટિ થઈ છે.

હાલ તો વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવીને તેમાં શિકાર તરીકે મરઘી મૂકવામાં આવી છે, જેથી દીપડો તેના અવાજથી આકર્ષાઈને પાંજરામાં પ્રવેશે અને પકડાઈ જાય. સ્થાનિકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવાની સૂચના આપી છે. ખેડૂતો અને બકરા ચરાવનારાઓને ખાસ કરીને સાંજે ૬ વાગ્યા પછી ખેતરોમાં કે ખુલ્લા વિસ્તારમાં ન જવા માટે જણાવાયું છે.

પણ એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, વન વિભાગના અધિકારીઓએ દીપડા સાથે તેનું બચ્ચું પણ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. મોટા પગલાંના નિશાન સાથે નાના પગલાંના નિશાન પણ મળ્યા હોવાથી આ આશંકા સેવાઈ રહી છે. જાે આ દીપડો બચ્ચા સાથે હોય તો તે વધુ આક્રમક અને ખતરનાક બની શકે છે.

મોટી દેવતી ગામ પાસેનો જે વિસ્તાર છે તે લગભગ ૧૫૦ વીઘા જેટલો મોટો છે. આ વિસ્તારમાં પાણીની સુવિધા છે, ગાઢ ઝાડીઓ છે અને બકરા તેમજ વાંદરા જેવા પ્રાણીઓ પણ જાેવા મળે છે, જે દીપડા માટે ખોરાક બની શકે છે. આ અનુકૂળ વાતાવરણને કારણે દીપડો આ જગ્યાએ વસવાટ કરી રહ્યો હોવાની શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસોથી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જેમાં થર્મલ ડ્રોનનો ઉપયોગ કરીને સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે દીપડાની હાજરીના કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. હવે મોટી દેવતી ગામે મળેલી પંજાની છાપ દીપડાની ઉપસ્થિતિનો સ્પષ્ટ પુરાવો પૂરો પાડે છે. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પકડીને યોગ્ય સ્થળે ખસેડવા માટે તમામ સંભવિત દિશાઓમાં તપાસ અને કાર્યવાહી ચાલુ છે, જેથી ગ્રામજનો સુરક્ષિત રહી શકે.