બિહારના લખીસરાય જિલ્લામાં પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે અશોક ધામ મંદિરમાં નાસભાગમાં સાત મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ ઘટના બની ત્યારે ભગવાનના જલાભિષેક માટે ખુબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. દસથી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગંભીર રીતે ઘાયલ લોકોને પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્યને જિલ્લા સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વધુમાં મીડિયા સુત્રો થકી જાણવા મળ્યું હતું કે, અશોક ધામ સ્ટેશનથી મંદિર તરફ જતા માર્ગ પર સોમવારે સવારે નાસભાગની ઘટના બનવા પામી હતી. આ મામલે પ્રાથમિક માહિતી મુજબ, અંધાધૂંધી એ અફવાને કારણે થઈ હતી કે પડી ગયેલા વીજળીના થાંભલામાંથી વીજ પ્રવાહ ચાલુ રહી ગયો છે.
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને ચાર લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાક્રિષ્નને નાસભાગની દુર્ઘટનામાં શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને, રાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ મુર્મુએ ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી. ઉપરાષ્ટ્રપતિએ ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખીસરાયમાં નાસભાગને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. વડા પ્રધાને ખાતરી આપી હતી કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે નાસભાગને કારણે થયેલા જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે આ હૃદયદ્રાવક ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
દરમિયાન, લખીસરાયની ઘટના બાદ, મુઝફ્ફરપુરમાં ગરીબનાથ મંદિર, સોનપુરમાં બાબા હરિહરનાથ મંદિર અને સુલતાનગંજમાં અજગાયબીનાથ મંદિર સહિત રાજ્યભરના અન્ય મુખ્ય મંદિરોમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
ભક્તોને અફવાઓ પર ધ્યાન ન આપવા, કાયદો અને વ્યવસ્થાની માર્ગદર્શિકાનું પાલન કરવા અને સતર્ક અને સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે.

