જસદણ
વીંછિયાના અમરાપરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તેની પ્રેમિકાને મળવાનું કહ્યું અને તેણીએ ઇન્કાર કરતાં એ હેવાન વીફર્યો હતો. લગ્ન પ્રસંગે આવેલી પરિણીતાના સંતાનનું અપહરણ કરી તેને બોટાદ નજીકના તળાવમાં ડુબાડી દઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શરૂઆતના તબક્કે પરિણીતાનું સંતાન અચાનક ગુમ થઇ જતાં તેની ફરિયાદ થયા બાદ તપાસમાં આ બાળકનું અપહરણ થયાનું ખુલ્યું હતું અને આરોપીની ધરપકડ થતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બોટાદના સરવા ગામે રહેતી પરિણીતા સુમિતા બુધાભાઈ અણીયાળીયા તેના પુત્ર પ્રકાશ (ઉ.વ.૪) ને લઈને અમરાપુર ગામે તેના નણંદની દીકરીના લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેનો પુત્ર અચાનક ગુમ થઈ જતા ગુમશુદાની ફરિયાદ નોંધાવાઇ હતી. જે દરમિયાન પોલીસને તે બાળકનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે હરેશ ભોપાભાઈ ગ્રાભડીયા (રહે-વીરવા,તા.જી.-બોટાદ) ને ઝડપી લઇ કડક પૂછપરછ કરતાં બાળકનું અપહરણ કરી બોટાદના સૈઈડા ગામના ડેમમાં ફેંકી દીધાની કબુલાત આપી હતી. સરવા ગામે રહેતા બુધાભાઈના લગ્ન ચોરવીરાની સુમિતા સાથે ૬ વર્ષ પહેલાં થયા હતા અને તેમને ૪ વર્ષનો પ્રકાશ નામનો પુત્ર હતો. પરંતુ સુમિતાને હરેશ ભોપા ગ્રાભડીયા એકતરફી પ્રેમ કરતો હોવાથી તે અવારનવાર સુમિતાને હેરાન કરતો હતો. સુમિતા અમરાપર આવી હોવાથી તેણે મળવાનું કહ્યું હતું પરંતુ સુમિતાએ ના પાડી દેતાં હરેશ વીફર્યો હતો.


