આણંદ
આણંદ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા તાજેતરમાં ઉમરેઠ ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમ શિબિર દરમિયાન આત્મા પ્રોજેક્ટના તાલુકા પ્રતિનિધિઓ દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિની માર્ગદર્શક તાલીમ આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિના લાભ અને તેનાથી પાકની ગુણવત્તામાં થતા સુધારા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઓઈલપામની ખેતી પધ્ધતિ તેમજ ઓઈલપામની બાયબેક પોલિસી વિશે જાણકારી આપવામાં આવી હતી. આ શિબિરમાં બાગાયત અધિકારી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિના અવકાશથી ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ તાલીમ દરમિયાન બેચરી ગામના પ્રગતિશીલ ખેડુત ભગવતભાઇ પટેલ દ્વારા બાગાયતી પાકોમાં ગાય આધારિત તથા ઓર્ગેનિક ખેતીથી મળતા લાભો અને કેવી રીતે ખેડૂતો સફળતાપૂર્વક સેંન્દ્રિય તેમજ પ્રાકૃતિક ખેતી કરી શકે છે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ અને આણંદ તાલુકાના બાગાયત અધિકારી ડો.હિતેષ ઠાકરીયા તથા જય ચાવડા, આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિ, પી.એમ.એફ.એમ.ઈ.ના પ્રતિનિધી તેમજ ગ્રામસેવકો અને મોટી સંખ્યામા ખેડુતો હાજર રહ્યા હતાં..
