ગ્રામ્ય વિસ્તારના યુવાઓમાં સ્વરોજગારીના નિર્માણ માટે કાર્ય કરતી SBI- RSETI એટલે કે, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વધુ એક સ્વરોજગારલક્ષી તાલીમ બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારના ૫૫ જેટલા યુવાનો એસી-રેફ્રિજીરેટર સર્વિસિંગ અને મોબાઈલ રીપેરીંગ માટેનું ટેકનિકલ જ્ઞાનની સાથે ધંધો – રોજગાર વિકસાવવા માટે જરૂરી કૌશલ્યો આત્મસાત કરશે.
આ તાલીમના ઉદઘાટન સત્રમાં RSETIના ડાયરેક્ટર શ્રી પ્રશાંત ગોહેલે જણાવ્યું કે, ગ્રામ્ય યુવાનો પગભર બને તે ભારત સરકાર સ્કિલ ડેવલપમેન્ટ ખૂબ ભાર આપી રહી છે. તેના જ ભાગરૂપે આ સંસ્થા દ્વારા જુદી જુદી રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. અહીંથી યુવાનો તાલીમ મેળવી પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં આગળ વધે તે માટે ગુણવત્તા યુક્ત તાલીમ તો આપવામાં આવે છે. સાથે જ યુવાનો સોફ્ટ સ્કિલ પણ પ્રાપ્ત કરે તે માટે પણ વિશેષ ભાર આપવામાં આવે છે. ઉપરાંત તાલીમાર્થીઓને ધંધા રોજગાર માટે નાણાકીય મદદ મળી રહે તે માટે લોન માટેની પણ સહાય પૂરી પાડવામાં આવે છે. અંતમાં તેમણે આ તાલીમનો લાભ મેળવી યુવાનોને આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
SBI લીડ બેંકના મેનેજર શ્રી રાઠવાએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં એસી અને મોબાઈલ રીપેરીંગના કોર્સમાં ખૂબ તકો રહેલી છે. આ તાલીમના માધ્યમથી જરૂરી ટેકનીકલ નોલેજ પ્રાપ્ત કરી, આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
SBIના ચીફ મેનેજર શ્રી યશવંત કુમારે પૂર્ણ નિષ્ઠા અને લગન સાથે તાલીમ પ્રાપ્ત કરવા માટે જણાવ્યું હતું. આ સાથે એફએલસી શ્રી છુગાણી અને ટ્રેનર શ્રી મિશ્રા પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે તાલીમાર્થીઓ અને SBI-RSETIનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


