લોકોને જન્મથી જ મળેલી વિશેષ કુદરતી બક્ષીસ જીવનમાં અતિ મહત્વની પુરવાર થાય છે. ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં કુદરતી મળેલી પ્રતિભાને ઉજાગર કરી લોકો તેમના જીવનમાં આગળ આવી તેમના ક્ષેત્રમાં નામના મેળવે છે. કલાકારોને કુદરતી મળેલી બક્ષીસથી તેઓને સમાજમાં તેમના ક્ષેત્રમાં ખુબ સફળતા મળી છે. તેના અનેક પ્રેરણાદાયી ઉદાહરણો સૌરાષ્ટ્રમાં છે. ઘણા ચિત્રકારો ફોટા કે સામે બેઠેલ વ્યકિતના ચિત્રો તેમના હાથે કુદરતી કળાથી બનાવી આપતા હોય છે. ત્યારે વેરાવળના ભીડીયામા રહેતા અને સેન્ટમેરી હાઈસ્કુલમાં ધોરણ-૧૨ના વિધાર્થી શૈલેષ હરીરામ ગોહેલ કાગળ પર ખુબ સારા ચિત્રો કંડારે છે. શૈલેષ ગોહેલે તાજેતરમાં દિવમાં રામસેતુ ફિલ્મના શુટીંગ દરમ્યાન તા.૫ ડિસેમ્બરના રોજ સેલીબ્રેટી અક્ષયકુમારને તેમનું સ્ક્રેચ પેન્સીલથી આબેહુબ પેઈન્ટીંગ કંડારી અર્પણ કર્યું હતું.
ભીડીયા ખારવા સમાજના સામાન્ય પરિવાર માંથી આવતા શૈલેષ ગોહેલે જણાવ્યું હતું કે, દિવમાં સેલીબ્રેટી અક્ષયકુમાર રામસેતુ ફિલ્મના શુટીંગ માટે આવી ગયા બાદ મે તત્કાલ એક દિવસ અને એક રાત્રીના ૨૦ કલાકથી વધુ સમય સુધી સતત સ્ક્રેચ પેન્સીંલથી તેમનું આબેહુબ સ્ટાઈલીસ કુદરતી ચિત્ર બનાવ્યું હતું. અક્ષય કુમારને તેમનું પેઈન્ટીંગ અર્પણ કરતા તેઓએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, શૈલેષને બહુત અચ્છા પેઈન્ટીંગ બનાયા હૈ. ચિત્ર બનાવતા સમયે સમગ્ર પેઈન્ટીંગનું વિડિયો શુટીંગ કરુ છું બાદમાં ચિત્ર અર્પણ થયા પછી મારી યુટુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવે છે.
મને ચિત્ર બનાવવાનો શોખ હતો અને હું સમયાંતરે ચિત્રો કંડારતો હતો પરંતુ ગત વર્ષે લોકડાઉન અમલમાં આવ્યા બાદ ઘરે વધુ સમય મળતા મે કોઈપણ વ્યક્તિ કે સેલિબ્રેટીના ફોટા ઉપરથી તેમનું ચિત્ર બનાવવા પર મહેનત કરી હતી. જ્યારે હું કોઇપણ વ્યક્તિના ફોટા પરથી તેમનું ૮ થી ૧૦ કલાકના સમય ગાળામાં પેન્સીલ, પેન અને કલરના ઉપયોગથી કાગળ પર ખુબ સારૂ આબેહુબ ચિત્રો બનાવી આપુ છું. અત્યારસુધીમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, દિપિકા પાદુકોણ સહિતના સેલીબ્રિટી થી લઈને સામાન્ય વ્યક્તિના ૭૦ થી વધુ ચિત્રો કંડાર્યા છે. અગાઉ ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશને તેમનું પેઈન્ટીંગ બનાવી અર્પણ કર્યું હતું. યુટુબ ચેનેલમાં શૈલેષ ગોહેલ આર્ટ પર જુદા-જુદા બનાવવામાં આવતા ચિત્રો પ્રસારિત કરવામાં આવે છે.


