નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા અને સમગ્ર દેશ-વિદેશમાં સેવાના પ્રતિકનું પથ દર્શાવતું શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ(માઘી પૂનમ)નું આગવું મહત્વ છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો ૧૯૧માં સમાધિ મહોત્સવ નિમિત્તે આ પૂનમે સાંજે ૬ વાગ્યે સાકરવર્ષા થનાર છે. મહારાજે સમાધી લીધી ત્યારે સ્વયંમ દિપ પ્રગટેલા અને મહારાજે સાકરવર્ષા કરી હતી તેના પ્રતિકરૂપે દર વર્ષે મહાસુદ (માઘી) પૂનમે સાકરવર્ષા થાય છે. આ પૂનમે સાંજે ૬ કલાકે “જય મહારાજ”ના નાદ સાથે સાકરવર્ષા થાય છે. આ પહેલા દિવ્ય આરતી પણ કરવામાં આવે છે. આ પૂનમને આડે હવે પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તેની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. આ દિવસે સાકર અને કોપરાની ઉછામણી થાય છે. સ્વયંસેવકો દ્વારા આ ઉછામણી કરી સાકરવર્ષા કરવામાં આવે છે. જેની તૈયારીઔના ભાગરૂપે મંદિરમાં સંસ્થાના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો સાકરની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. સાકરમાંથી ચારણી વડે ભૂક્કી થઈ ગયેલી સાકરને અલગ કરવામા આવે છે અને આખી સાકરને પ્રસાદરૂપ લેવામાં આવે જે સાકરવર્ષાના સમયે સ્વયંસેવકો દ્વારા ઉછામણી થશે. અંદાજીત ૧૫૦૦ કીલો સાકરની તૈયારીમાં સ્વયંસેવકો જાેડાયા છે. દર વર્ષે આ પૂનમના આગળના દિવસે અને પાછળના દિવસો દરમિયાન નગરમાં અલગ જ નજારો હોય જાેવા મળે છે કારણ કે આ દિવસે મેળાની રંગત જામતી હોય છે. પરંતુ છેલ્લા ૨ વર્ષથી કોરોનાના કારણે આ મેળો યોજાઈ રહ્યો નથી.


