નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાતા ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પીલીભીતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ તેમજ સપાના નેતાઓ ઉપર વાકપ્રહાર કર્યા હતા, તેમણે પીલીભીતના તમામ ભાજપના ઉમેદવારોની તરફેણમાં સભાને સંબોધિત કરી હતી. પીલીભીતમાં ૨૩ ફેબ્રુઆરીએ મતદાન થશે. અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી આતંકવાદીઓની સાથે છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી ઘોષણાપત્રમાં આતંકવાદીઓને મુક્ત કરવાનું વચન આપ્યું હતું. તેમણે જનતાને પૂછ્યું કે શું વોટના લોભમાં આતંકવાદીઓને સમર્થન કરનારાઓએ વોટ આપવો જાેઈએ ખરો ? અમિત શાહે કહ્યું કે સપા અને કોંગ્રેસે આતંકવાદ સામેની લડાઈ નબળી પાડી છે. તેમણે કહ્યું કે અમારો સંકલ્પ દેશ અને દુનિયામાં આતંકવાદ ફેલાવનારાઓને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. પ્રિયંકા ગાંધી કહે છે કે આતંકવાદ એક નિરર્થક વસ્તુ છે. તેને રોકવો અર્થહીન છે. તેમના નેતા સલમાન ખુર્શીદ કહે છે કે, અમદાવાદ બ્લાસ્ટમાં પકડાયેલા લોકો નિર્દોષ છે. અમિત શાહે કહ્યું કે પીલીભીતના લોકોએ ત્રણ તબક્કાનું પરિણામ જાણવુ જાેઈએ. આમાં સપા અને બસપા બન્ને સાફ થઈ ગયા છે. કોંગ્રેસ તો દૂરબીનથી જાેતા પણ કયાય દેખાતી નથી. અમિત શાહે કહ્યું કે, ભાજપ સરકારે ગરીબ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, યુવાનો માટે પાંચ વર્ષ જે કામ કર્યું છે તેના કારણે ત્રણ તબક્કામાં ભાજપની લહેર પ્રસરી છે. સાતમા તબક્કા સુધીમાં તો ભાજપ તરફી આ લહેર સુનામીમાં ફેરવાઈ જશે. આ પહેલા અમિત શાહે કહ્યું હતું કે રાજા મોરધ્વજની પવિત્ર ભૂમિ પર હું તમારું સ્વાગત કરું છું. પીએમ નરેન્દ્ર મોદીએ શીખોના બલિદાનને સન્માન આપવાનું કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે જ્યારે મોદીજી વડાપ્રધાન બનવા માટે ચૂંટાયા ત્યારે તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર ગરીબ, પછાત અને દલિત લોકોની સરકાર છે. અમે તેને આગળ લઈ જવા માટે કામ કરીએ છીએ. સપા, બસપા કે કોંગ્રેસે ક્યારેય પણ ગરીબોના ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડ્યા નથી. ભાજપ સરકારે ગેસ સિલિન્ડર, શૌચાલય, આવાસ, વીજળી આપીને ગરીબોને માન આપ્યું છે. તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવાનું કામ ભાજપ કરી રહી છે. તમારા ઘરોમાં ૨૪ કલાક વીજળી છે. સપા સરકારમાં ક્યારેય ૨૪ કલાક વીજળી નહોતી. અમે સ્વાસ્થ્ય ખર્ચમાં ૫ લાખ રૂપિયા સુધીનો વધારો કરીને ૧૫ કરોડ ગરીબોને રાહત આપી છે.


