નવીદિલ્હી
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવાના પ્રયાસો વચ્ચે ભારતીય દૂતાવાસે નવી એડવાઇઝરી જાહેર કરી છે. દૂતાવાસે નાગરિકોને તેના અધિકારીઓની સાથે સમન્વય વગર સરહદ ચોકીઓ પર ન જવાનું તહ્યું છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું- સરહદ તપાસ ચોંકીઓ પર સ્થિતિ સંવેદનશીલ છે. ભારતીય નાગરિકોને કાઢવા માટે અમે પાડોશી દેશોમાં અમારા રાજદૂત સાથે કામ કરી રહ્યાં છીએ. ભારતીય દૂતાવાસે કહ્યું- અમારા માટે તે ભારતીયોને કાઢવા મુશ્કેલ થઈ રહ્યાં છે જે સૂચના આપ્યા વગર સરહદ તપાસ ચોકીઓ પર પહોંચી ગયા છે. જે ભારતીય નાગરિક પૂર્વી ક્ષેત્રમાં છે, તેને આગામી નિર્દેશ સુધી પોતાના નિવાસસ્થાન પર રહેવાની વિનંતી કરવામાં આવે છે. ભારતીય નાગરિક બિનજરૂરી ગતિવિધિથી બચે, સાવચેતી રાખે, પોતાની આસપાસની ઘટનાઓ અને સ્થિતિના ઘટનાક્રમને લઈને એલર્ટ રહે. એર ઈન્ડિયાનું એક વિમાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ માટે શનિવારે સવારે નિકળી ગયું છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, ઉડાન સંખ્યા એઆઈ૧૯૪૩ વહેલી સવારે મુંબઈ એરપોર્ટથી રવાના થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે જે ભારતીય નાગરિકો યુક્રેન-રોમાનિયા બોર્ડર પર રોડ માર્ગે પહોંચી ગયા છે તેઓને ભારત સરકારના અધિકારીઓ બુકારેસ્ટ લઈ જશે જેથી કરીને તેમને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ દ્વારા ઘરે લાવી શકાય. યુક્રેનમાં હાલમાં લગભગ ૨૦,૦૦૦ ભારતીયો ફસાયેલા છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે યુક્રેનિયન એરસ્પેસ બંધ કરતા પહેલા, એર ઈન્ડિયાએ ૨૨ ફેબ્રુઆરીએ યુક્રેનની રાજધાની કિવ માટે એક વિમાન મોકલ્યું હતું જેમાં ૨૪૦ લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા. તેણે ૨૪ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ વધુ બે ફ્લાઇટ્સ ચલાવવાની યોજના બનાવી હતી, પરંતુ રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ આક્રમણ શરૂ કર્યું અને ત્યારબાદ યુક્રેનિયન એરસ્પેસ બંધ કરી દેવાને કારણે આ થઈ શક્યું નહીં.
