વલસાડ
ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત એવા બાહુબલી હનુમાનજી નો આજે જન્મદિવસ છે ત્યારે વલસાડના પારનેરા પારડી ખાતે સંકટ હરન હનુમાનજી મંદિર સહિત જિલ્લાના તમામ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વલસાડના પારનેરા પારડી મુકામે આવેલા સંકટ હરન હનુમાનજી મારૂતિધામ ખાતે પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શનિવારનાં રોજ મંદિરમાં ૩૫ મા જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વહેલી સવારે ૬ કલાકે મંદિરમાં હનુમાનજીની જન્મ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ દાદાની પુજા અર્ચના અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હવન કરવામાં આવ્યો હતો. જ્યારે સવારે ૧૧ કલાકથી મોડી રાત સુધી મહાપ્રસાદનું પણ આયોજન મંદિર સંસ્થાપન દ્વારા કરવામાં આવ્યું હતું.આજના આ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. ખાસ આજના આ દિવસ અનુરૂપ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલ અને શ્રી સંકટ હરન હનુમાનજી સંસ્થાપન પારનેરા પારડી દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર જન્મોત્સવ કાર્યક્રમના સફળ આયોજન પાછળ મંદિરનાં ટ્રસ્ટીગણોની સાથે કાર્યકરો, અગ્રણીગણો અને ગામના યુવાનોએ પોતાનો સિંહફાળો આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
