દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંકાનેર ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મોટરસાઈકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું. સારવાર દરમિયાન ટીનાભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ શરીરે ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ફતેપુરા તાલુકાના મારગાળા ગામે બારીયા ફળિયામાં રહેતાં ટીનાભાઈ બબલાભાઈ બારીયા પોતાની મોટરસાઈકલ લઈ સુખસર બજારમાં સામાન લેવા જતાં હતાં. તે સમયે સામેથી અન્ય એક મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટીનાભાઈની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેથી ટીના ભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયાં હતાં. જેને પગલે તેઓને માથાના ભાગે, હાથે પગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.


