રાજકોટ
રાજકોટમાં આગામી તા.૧૩ મે ના રોજ વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે અંદાજિત ૬૫ મકાનોનું લોકાર્પણ તથા સરકારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીરૂપે રાજકોટના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ પારેવાડા, રામપર અને બેટી ગામની રૂબરૂ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે અંદાજિત ૬૫ જેટલા મકાનો ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના સહયોગથી બનાવવામાં આવ્યા છે, જેની સોંપણી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. વિચરતા સમુદાયના લોકો સ્થિર બનીને જીવન જીવી શકે તથા તેમના બાળકો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકે તે માટે રામપર-બેટી ગામના વિસ્તારમાં સરકારી હોસ્ટેલ નિર્માણ પામશે જેનું ખાતમુહૂર્ત પણ સીએમ પટેલના હસ્તે કરવામાં આવનાર છે. જેની સ્થળ ચકાસણી કલેકટરે કરી હતી. તેમજ આવાસ મેળવનારા લાભાર્થીઓ સાથે કલેકટરે વાતચીત કરી હતી.આ સ્થળ પર જિલ્લા કલેક્ટરે અલગ-અલગ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મિટિંગ યોજીને જરૂરી આદેશો આપ્યા હતા.
