વડોદરા
વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના ૧૮માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞના વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રીહરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરની કથામાં હજારો દેશ-વિદેશના ભક્તજનોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. આ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા સંતો દ્વારા સત્સંગ કથાનો લાભ ભક્તોને પ્રાપ્ત થયો હતો તેમજ મુંબઇના પ્રસિધ્ધ સમર્પણ ફ્યુઝન બેન્ડનો ધમાકેદાર સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યાં સમસ્યા હોય ત્યાં ભાજપ સમાધાન લઇને સામે આવ્યું છે, કોરોના કાળમાં ભારત આર્ત્મનિભર બન્યું છે. ભારત દુનિયાની નવી આશા બન્યું છે. ભારત ભવિષ્ય માટે દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. સ્ટાર્ટ અપમાં ભારતનું કદ વધ્યું, ભારતનું વિશ્વનું ત્રીજુ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે, જેનું નેતૃત્વ યુવાનો કરે છે. આ ઉપરાંત એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરવાની હરિભક્તોને પીએમ મોદીએ અપીલ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા તથા વડોદરાના મેયર કેયુર રોકડિયા આ પ્રસંગે હાજરી આપી હતી. આ સંગીતના કાર્યક્રમને દેશવિદેશના હજારો હરિભક્તોએ માણ્યો હતો. તા.૨૦/૫/૨૦૨૨ના રોજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
