જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ
સરકારશ્રીના જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૬ જેટલી સેવાઓનો લાભાર્થીઓએ લીધો લાભ
ગીર સોમનાથ તા.૦૨: વેરાવળ-પાટણ શહેરી વિસ્તારમાં રાજય સરકારના આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ભીડીયા કેવટ ભુવન ખાતે વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગોને લગતી વ્યક્તિગત કોઈ પણ સેવાઓની જરૂરીયાત હોય તે એક જ સ્થળે પૂરી પાડવામાં આવી હતી. આસપાસના વિસ્તારોના લોકોએ સેવાસેતુ કેમ્પનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં પાલિકા તંત્રના અગ્રણીઓએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ઉપસ્થિત સર્વેને સંબોધતા નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પારદર્શી પ્રશાસનની પ્રતીતિ સ્વરૂપે સેવાસેતુ કર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારશ્રીની અનેકવિધ યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવા માટે સુચારુ રીતે એક જ સ્થળ પર તમામ વિભાગો સાથે મળીને લોકોને સેવા આપે છે એ સરકારની સંવેદનશીલ નીતિ દર્શાવે છે.
આ તકે વેરાવળ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી કપિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સહેલાઈપૂર્વક લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે. જે સરકારશ્રીની દૂરદર્શિતા અને સામાન્ય લોકો માટેની સહાનુભૂતિ દર્શાવે છે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ-રાશન કાર્ડમાં ફેરફારો, મહિલાઓ અને બાલિકા લક્ષી યોજનાઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી), ઘરેલું નવા વીજ જોડાણ, વેરા સંબંધિત સેવાઓ, બેન્કિંગ અને ધિરાણ સંબંધિત સેવાઓ જેવી કુલ ૫૬ સેવાઓ લોકોને એકજ સ્થળે પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.


