નવીદિલ્હી
દિલ્હીમાં ભાજપની સંસદીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નિતિન ગઠકરી, રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ અને મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. બેઠક બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, બેઠકમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇને ચર્ચા કરવામાં આવી છે. ઘણા નામો પર વિચાર કર્યા બાદ અમે ર્નિણય કર્યો છે કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડ હશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ રાજસ્થાનના ઝુંઝુનૂના એક સુદૂર ગામના રહેવાસી છે. ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખડે તેમનું શાળા શિક્ષણ સૈનિક સ્કૂલ ચિતોડગઢમાં પૂર્ણ કર્યું હતું. ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક કર્યા બાદ જગદીપ ધનખડે રાજસ્થાન વિવિથી એલએલબી કર્યું. જગદીપ ધનખડે એલએલબી કર્યા બાદ વકીલાતની શરૂઆત કરી હતી. વકીલાતના શાનદાર કારકિર્દી અપનાવીને તેઓ તેઓ દેશના અગ્રણી વકીલોમાં સામેલ થયા હતા. બાર કાઉન્સિલમાં વિવિધ હોદ્દા પર રહેલા ધનખડે ૧૯૮૯ માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને ઝુંઝુનુ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા. ૧૯૯૦ માં તેમણે દેશના સંસદીય બાબતોના રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૯૩ માં તેઓ અજમેર જિલ્લાના કિશનગઢથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૭૦ વર્ષના જગદીપ ધનખડને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૩૦ જુલાઈ ૨૦૧૯ ના બંગાળના ૨૮ માં રાજ્યપાલ બનાવ્યા હતા.

