ભાવનગર
ભારતીય કિસાન સંઘ દ્રારા ખેડુતોના વિવિધ પ્રશ્નોને લઈ ભાવનગર ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને ચાર જિલ્લાના ૨૫૦થી વધુ ખેડૂતો ઘરણાં માટે પહોંચ્યા હતા. ત્યાં પોલીસે મંત્રીના ગેઈટથી અંદર જવા જ ન દીધા, તો ખેડૂતોએ ગેઈટ બહાર ધરણાં પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યું હતું, ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોની વિવિધ માંગણીઓ જેવી કે વાડીમાં સમાન વીજ દર લાગુ કરવામાં આવે, રી-સર્વે માપણી ફરીવાર કરવી, ટ્રેકટરની ટ્રોલી ઉપરનો ટેક્સ માફ કરવો, ૨૦૧૯નો પાક વીમો ખેડૂતોને આપવો તથા ખેતી ઉપજના પોષણક્ષમ ભાવ મળવા જાેઈએ સહિતની માંગણીઓ ને લઈ ભાવનગર જિલ્લાના ઉપરાંત ચાર જીલ્લાના કચ્છ, અમરેલી, સાવરકુંડલા તથા બોટાદ જીલ્લાના ખેડૂતો બસ મારફતે શહેરના ઈસ્કોન ખાતે આવેલ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના ઘરે ધરણાં કરવા પોહચ્યાં હતા. જગતના તાત એવા ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ અને પ્રશ્નો લઇને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના ઘરે દોડી ગયા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ કાર્યક્રમ જાહેર કરાયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓના નિવાસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયું છે જે અંતર્ગત ભાવનગરમાં આજે ૨૫૦થી વધુ ખેડૂતો મંત્રી જીતુ વાઘાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. વિજળી, પશુપાલક, ખેતી, સિંચાઇ, મહેસુલ સહિતના વિવિધ પ્રશ્નોથી ત્રસ્ત ખેડૂતોએ શિક્ષણ કેબિનેટ મંત્રી વાઘાણીના ઘરે હલ્લાબોલ કરી ધરણા પર બેસવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમના પગલે પોલીસનો કાફલો પણ ખડકાઇ ગયો છે અને મંત્રીના ઘર સુધી ખેડૂતોને જતા અટકાવાયા હતા, જાહેર કરેલો વિમોને ૪ વર્ષ થયા છતાં ખેડૂતો ને વીમો નથી મળ્યો, સરકાર વીમા કંપનીઓને દબાણ પણ નથી કરતી કારણ કે સરકારે કમિશન લીધું હોય એટલે તો દબાણ નથી કરી શકતી, સરકારે ગમે તેને એક ઝાટકે ઝુકાવી દે તો આ કંપનીઓ ને કેમ નથી ઝુકાવી શકતી? ખેડૂતોના અનેક પ્રશ્નો છે, જેમાં ગાંધીનગર ખાતે ૧૭ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે આજે તેના ઘર પાસે ઘરણાં કરવા પ્રશાસન જવા નથી દેતું. આ ઘરણાં પ્રસંગે અખિલ ભારતીય સંઘના સદસ્ય વિઠ્ઠલભાઈ, સૌરાષ્ટ્ર ઝોનના પ્રદેશ સંયોજક ધીરુભાઈ, ભાવનગર જીલ્લા સંઘના પ્રમુખ હસમુખભાઈ, કચ્છ જિલ્લા સંઘના પ્રમુખ ભીમજીભાઇ, અમરેલી જિલ્લા સંઘના પ્રમુખ વસંતભાઈ, સાવરકુંડલા જિલ્લાના સંઘના પ્રમુખ વિનુભાઈ, બોટાદ જિલ્લા સંઘના પ્રમુખ ઈન્દ્રસિંહ તથા પ્રદેશ સંયોજક વલ્લભભાઈ તથા પાંચેય જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.


