નડિયાદ
ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાંથી પસાર થતો અમદાવાદ ઈન્દોર હાઇવે પર સવારે અકસ્માત સર્જાયો હતો. પુરપાટે આવતી કારે મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ સંદર્ભે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. કઠલાલ તાલુકાના ફાગવેલ તાબેના પનાજીના મુવાડા ખાતે રહેતા ૬૦ વર્ષીય રાવજીભાઈ અઘરાભાઈ રાઠોડ પોતે નજીક ચા-નાસ્તાની દુકાન ધરાવે છે. સવારના ૧૧ તેઓ પોતાનું મોટરસાયકલ નંબર (જીજે-૦૭બીએસ-૪૧૩૦) લઈને પોતાની દુકાને આવતા હતા. ત્યારે ગામના સીમાડે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર અમદાવાદ તરફથી પુરપાટે આવતી કાર નંબર (જીજે-૦૬-જેએ-૬૩૧૦)ના ચાલકે ઉપરોક્ત મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક રાવજીભાઈ વાહન સાથે બાજુની ગટરમાં પડ્યા હતા. તેઓને શરીરે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે બાલાસિનોર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે રાવજીભાઈને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાવ સંદર્ભે મરણજનારના ભત્રીજા રાજેશભાઈ રાઠોડે કઠલાલ પોલીસ મથકે ઉપરોક્ત કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટર અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


