ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાકાળના બે વર્ષ બાદ દુર્ગાષ્ટમીની ઉજવણીને લઇને બંગાળી સમાજના લોકોમાં અનેરો ઉસ્તાહ જોવા મળી રહ્યો છે. શહેરની શ્રવણ ચોકડી વિસ્તારમાં પાંચમા નોરતાથી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થાય છે. જિલ્લામાં રોજગારી માટે સ્થાયી થયેલા 5,000થી વધારે બંગાળી પરિવારો શકિત સ્વરૂપ મા દુર્ગાની આરાધનામાં લીન બની જાય છે. દશેરાના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળશે અને પ્રતિમાઓનું પાવન સલિલા મા નર્મદાના નીરમાં વિસર્જન કરાશે. ત્યારે દુર્ગામાતાની મુર્તિઓ બનાવનારા કલાકારોએે મુર્તિઓને આખરી ઓપ આપી રહ્યાં છે.
કલકત્તા સહિતના શહેરોમાંથી 5,000થી વધારે બંગાળી પરિવારો ભરૂચ જિલ્લામાં રોજગારી માટે સ્થાયી થયાં છે.વર્ષોથી તેઓ ભરૂચમાં દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરી વિવિધતામાં એકતાના દર્શન કરાવી રહયાં છે. પાંચમા નોરતાથી શહેરની શ્રવણ ચોકડી ખાતે દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવે છે.
શકિત સ્વરૂપ મા દુર્ગાની માટીમાંથી બનાવેલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે.વિશાળ પંડાલ સહિત દરમ્યાન દરરોજ રાત્રીના સમયે આરતી,પૂજા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સામાજીક સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બંગાળી પરિવારો માતાજીની પરંપરાગત રીતે આરાધના કરી તેમનો પર્વ ઉજવી રહયાં છે. વિજયાદશમીના દિવસે દુર્ગા માતાજીની વિસર્જન શોભાયાત્રા નીકળશે તે સાથે દુર્ગામહોત્સવનું સમાપન પણ થશે.હાલમાં દુર્ગાપુજા માટે બનાવાતી મુર્તિઓને મુર્તિકારો દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે.


