‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ અંતર્ગત ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ‘ નિમિત્તે રાજયકક્ષા (સ્વતંત્ર હવાલો) મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રી મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો ૨૨ જિલ્લાઓમાં સખી/ કિશોરી મેળાનું ઈ-લોન્ચિંગ અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ દીકરીઓ સાથે વર્ચ્યુઅલ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં મંત્રીશ્રી મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ‘કિશોરી કુશળ બનો થીમ આધારિત સખી/ કિશોરી મેળા‘નો વર્ચ્યુઅલ કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જામનગર જિલ્લામાંથી દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હંસાબેન ટાઢાણી, શ્રી સોનલબેન વર્ણાગર તેમજ ૧૦ કિશોરીઓએ પરિસંવાદમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત, જિલ્લા કક્ષાના સખી/ કિશોરી મેળાનું આયોજન મહિલા અને બાળ વિકાસના સચિવ શ્રી કે.કે. નિરાલાના અધ્યક્ષસ્થાને આઇ.સી.ડી.એસ. કચેરી, ધ્રોલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા કક્ષાએ પણ ૬ કિશોરી/ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કિશોરીઓમાં આરોગ્ય, પોષણ, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંગે જાગૃતિ લાવવાના હેતુસર રંગોળી, મહેંદી, ચિત્ર અને ગરબા સ્પર્ધા, હિમોગ્લોબીન ટેસ્ટિંગ તેમજ વિવિધ વિષયો પર સંવાદ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવ શ્રી કે.કે. નિરાલા દ્વારા ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ તેમને શિક્ષણ અને કૌશલ્ય હાંસલ કરીને આત્મનિર્ભર બનવા અને વ્યક્તિગત સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે દીકરી વધામણાં કીટ, હાઇજીન કીટનું વિતરણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડો.ચંદ્રેશ ભાંભી, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી બીનલબેન સુથાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોજીત્રાભાઈ, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી નર્મદાબેન ઠોરિયા, મહિલા શક્તિ કેન્દ્ર અધિકારીશ્રી, જિલ્લા પી.એસ.ઈ. ઇન્સ્ટ્રક્ટરશ્રી, પૂર્ણા કન્સલ્ટન્ટશ્રી, સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી, મહિલા કલ્યાણ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટરના કાર્યકરો અને સમગ્ર જિલ્લામાંથી ૩૭૦ કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.


