વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત જામનગર જિલ્લાના ૫ વિધાનસભા મતદાર વિભાગો માટે તા. ૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૩ નવેમ્બરના રોજ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવતાંની સાથે જ સમગ્ર જામનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેને ધ્યાને લેતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશભાઈ એન. ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જાહેર સાહસોના મકાનો, વીજળી અને ટેલિફોનના થાંભલાઓ પર ચૂંટણી પ્રચારના ઇરાદાથી કોઈપણ ચૂંટણી અંગેનું બેનર, ચિહ્નો, આકૃત્તિઓ, પોસ્ટર અથવા ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવું નહિ, તેમજ કમાનો પણ ઊભી કરવી નહિ. આ સિવાયના મકાનો ઉપર ચૂંટણી પ્રચાર સંબંધિત કોઈપણ સાહિત્ય મકાન માલિકની પૂર્વ મંજૂરી સિવાય પ્રદર્શિત કરવું નહિ. આ હુકમ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછા ૪ મહિના અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.
