વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત જામનગર જિલ્લામાં ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ થાય તે હેતુથી તેમજ જિલ્લામાં સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશભાઈ એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૪૪ એ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના આત્મ રક્ષણના તથા પાક રક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના પરવાનાવાળા હથિયારો સાથે કોઈ સરઘસ કાઢવા, કોઈ સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ હુકમ ફરજની રૂએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા, સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજૂર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીશ્રીઓ, તમામ મેજિસ્ટ્રેટશ્રી, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઇડ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ ફરજની રૂએ જેમણે હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા હોમગાર્ડના જવાનોને લાગુ પડશે નહિ. આ હુકમ તા. ૦૩/૧૧/૨૦૨૨થી તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. હુકમનો ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશ એન. ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
