પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમે જૂનાગઢ શહેર જિલ્લાના ૮૩ કરોડના ૧૮૦ વિકાસ કામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, ડબલ એન્જિનની આ સરકારે વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. સર્વ સમાવેશી વિકાસ સાધીને સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય એક રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. આમ, પ્રધાનમંત્રીશ્રીએ વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે.
આ પ્રસંગે અમદાવાદ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના સરદાર પટેલ સભા ગૃહ ખાતે આયોજિત વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં સંબોધિત કરતા શ્રી દેવાભાઈ માલામે જણાવ્યું કે, શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય અવિરત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની અસરકારક અમલવારીથી છેવાડાના લોકો સુધી આ પ્રજાકીય લાભ પહોંચાડ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે ખેતી અને પશુપાલન વ્યવસાય એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ ખેડૂત હિતકારી અમલમાં મૂકી છે. સાથે જ આ ડબલ એન્જિનની સરકારે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો પણ સમન્વય કર્યો છે. તેમજ ડેરી ટેકનોલોજીને પણ એટલું જ પ્રોત્સાહન આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે બિનવારસી ગૌવંશના નિભાવ માટે પણ રૂ.૫૦ કરોડની જોગવાઈ કરી છે. અંતમાં તેમ જણાવતા કહ્યું કે, સરકારે આરોગ્ય સેવાઓને વધુ શુદ્રઢ બનાવી દરેક તાલુકા કક્ષાએ ડાયાલિસિસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જેથી હવે લોકોને આ સેવાઓ મેળવવા માટે દૂર સુધી જવું પડતું નથી.
આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાત સરકારના દાયકાથી વધુના આ શાસનકાળમાં વિશ્વાસથી વિકાસયાત્રા આ શબ્દોને ચરિતાર્થ કર્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સતત લોકોની સુખ સુવિધામાં વધારો થવાની સાથે પ્રજાલક્ષી યોજનાઓથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ૨૪ કલાક વીજળીથી નાના વ્યવસાયકારોને ધંધાને પણ વેગ મળ્યો છે ઉપરાંત ઉજજવલા યોજનાના માધ્યમથી બહેનોને ગેસ સિલિન્ડર સાથેનું ગેસ જોડાણ મળતા ધુમાડામાંથી મુક્તિ મળી છે. આમ, તેમના સ્વાસ્થ્યને સુરક્ષા મળી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય મળવાથી તેમને આર્થિક મદદ મળી રહે છે. આમ, અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓથી સતત આ સરકાર લોકોનો ભરોષો જીતતી આવી છે.
મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જણાવ્યું કે, રાજ્ય સરકારે લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે આંતરમાળખાકીય વિકાસ કર્યો છે. ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વના પરિણામે ગિરનાર પર રોપવે નિર્માણ શક્ય બન્યું છે. અંતમાં તેમણે પ્રજાકીય યોજનાઓની ફળશ્રુતિ અને ગુજરાત સરકારના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.
સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ ગત તા.૧૯ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે વિવિધ પ્રજાલક્ષી ખાતમુહૂર્તના કાર્યક્રમને સફળતાપૂર્વક યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર, પદાઅધિકારીઓ અને રાજકીય આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે તેમણે પ્રજાકીય વિકાસના કામોમાં ગુણવત્તા જળવાઈ અને પ્રજાના ટેક્સનું યોગ્ય ઉપયોગ થાય તે માટે પ્રજાલક્ષી અભિગમ દાખવવા માટે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, કારોબારી સમિતિના ચેરપર્સન શ્રીમતી કંચનબેન ડઢાણીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા દંડક શ્રી અરવિંદભાઈ ભલાણી, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર શ્રી એલ. બી. બાંભણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા, સહિતના પદાધિકારી અધિકારી અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહના પ્રારંભે જિલ્લા આયોજન અધિકારી શ્રી આર. એમ. ગંભીરે શાબ્દિક સ્વાગત અને અંતે અધિક્ષક શ્રી એલ.એમ. ખાનપરાએ આભારવિધિ કરી હતી.


