કાર્યક્રમ હેઠળ મહિલા આઈ.ટી.આઈ.ની તાલીમાર્થીનીઓએ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધામાં સહભાગી થઈ આઝાદીના લડવૈયાઓને આદરાંજલી અર્પણ કરી
જામનગર તા.૧૪ ફેબ્રુઆરી, જામનગર મહિલા આઇ.ટી.આઇ.ખાતે તા.૧૦ તથા ૧૧ ના રોજ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો કચ્છ-ભુજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતની આઝાદીને ઉજાગર કરતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જામનગર મહિલા આઇ.ટી.આઇ.ખાતે તાલીમ લઈ રહેલ ૨૮૦ તાલીમાર્થીનીઓ માટે વિવધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૭૦ તાલીમાર્થીનીઓએ સહભાગી થઈ આઝાદીના લડવૈયાઓને આદરાંજલી અર્પણ કરી હતી.
સદર કાર્યક્રમમાં શહેરના CDHO ભારતીબેન ધોળકિયા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ગાયનેક વિભાગમાં હેડ ડો.શિલ્પાબેન, દહેજ પ્રોહિબિશન ઓફિસર સોનલબેન મહેતા, જિલ્લા રોજગાર અધિકારી સરોજબેન સાંડપાં, જામનગર આઇ.ટી.આઇ.ના નોડલ ઓફિસર શ્રી એમ. એમ.બોચિયા, કારકિર્દી માર્ગદર્શન માટે શ્રી જયેશભાઈ વાઘેલા, એસ.બી.આઇબેક મેનેજર શ્રી પિયુષભાઈ ભટ્ટ, શ્રી એક્સ્ટ્રુઝનમાંથી શ્રી મિલનભાઈ ત્રિવેદી, જામનગર સિટી મહિલા આઇ.ટી.આઇના આચાર્ય શ્રી જીગ્નેશકુમાર વસોયા તેમજ ફિલ્ડ આઉટરીચ બ્યુરોમાંથી શ્રી કે. આર. મહેશ્વરી વિગેરે મહેમાનોએ ઉપસ્થિત રહી તાલીમાર્થીનીઓને ભારતની આઝાદી સમયના લડવૈયાઓની ઝાંખી કરાવી, કોરોના અવરનેસ તેમજ કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમની શોભા વધારી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ આઝાદીમાં લડત આપેલ સ્વાતંત્ર સેનાનીઓના એકઝીબિશનને પણ નિહાળ્યું હતું.તેમજ સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીનીઓને ફિલ્ડ આઉટરીચ બ્યુરો ભુજ તેમજ મહિલા આઈ.ટી.આઈ.જામનગરની આઈ.એમ.સી. સોસાયટી તરફથી ઇનામોની વહેચણી કરવામાં આવી હતી.
વિરેન્દ્રસિંહ પરમાર


