રાજકોટ સહિત રાજ્યભરમાં છોકરાઓ સ્વમિનારાયણ ગુરુકુળમાં ભણતા હોય તેવું આપણે અનેક વખત સાંભળ્યું હશે પરંતુ ઈતિહાસમાં પહેલીવાર રાજકોટની ભાગોળે દીકરીઓ માટે ખાસ ગુરુકુળ બની રહ્યું છે. શહેરની ભાગોળે મોટા રામપર ગામે દીકરીઓ માટેનું અદ્યતન ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું. છે. આ ગુરુકુળમાં દીકરીઓને શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન કરાશે. ધો ૬ થી ૧૨ સુધી દીકરીઓને અભ્યાસની સાથે હોસ્ટેલ સહિત રહેવા-જમવાની સગવડ અપાશે. જૂન-૨૦૨૩ થી દીકરીઓ માટેનું ગુરુકૂળ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ જણાવ્યું હતું. આ ગુરુકુળમાં ૧૦૦૦ જેટલી દીકરીઓની રહેવા જમવાની વ્યવસ્થા કરાશે. ઉપરાંત આ ગુરુકૂળનું સંચાલન કરનાર પણ બધી મહિલાઓ જ હશે. આ અંગે પ્રભુસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત કે દેશમાં જે ગુરુકુળ ચાલી રહ્યા છે તે છોકરાઓ માટેના છે, પહેલી વખત રાજકોટમાં દીકરીઓ માટેનું ગુરુકુળ શરૂ થશે જેનું કામ ચાલી રહ્યું છે. અહીં દીકરીઓને શિક્ષા સંસ્કાર સાથે રહેવા, જમવા, ધાર્મિક સહિતની સુવિધા મળશે. જૂન-૨૦૨૩ સુધીમાં બાંધકામ પૂર્ણ થશે અને વર્ગ શરૂ થઈ જશે. આ ઉપરાંત સુરતમાં પણ દીકરીઓ માટેનું ગુરુકુળ જૂન-૨૦૨૪ સુધીમાં નિર્માણ પામશે.
સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, આગામી જૂન-૨૦૨૩થી શરૂ થનારા દીકરીઓ માટેના સૌપ્રથમ ગુરુકુળમાં કોઇપણ ધર્મ,જ્ઞાતિ કે સમાજની દીકરીઓને પ્રવેશ અપાશે. આ ઉપરાંત દેશના કોઇપણ રાજ્યમાંથી રાજકોટમાં વસતા પરિવારની દીકરીને પણ પ્રવેશ અપાશે, એડમિશન પ્રક્રિયા આગામી એપ્રિલ-મે માસમાં નક્કી કરાશે પરંતુ, મોટાભાગે ધો. ૫ ના આધારે દીકરીઓને ધો. ૬ માં પ્રવેશ મળશે, આ ગુરુકુળમાં સાફસફાઈ, પટાવાળા, ક્લાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતના તમામ સ્ટાફ મહિલાઓ જ હશે.
અહેવાલ – નિખીલ ભોજાણી


