Gujarat

દહેજ રોડ પર ખાડા પુરવાની કામગીરીમાં વેઠ ઉતારાતાંં રોષ

ચોમાસાના પ્રારંભે જ ભરૂચ જિલ્લાના રસ્તાઓ ખખડધજ બની ગયાં હતાં. માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઇવે ઓથોરીટી અને જીએસઆરડીસી હસ્તકના રસ્તાઓ ધોવાઇ ગયાં હોવાથી વાહનચાલકોને ભારે અગવડ પડી રહી છે. નેત્રંગ પાસે રમણપુરા ગામ પાસે ખાડાના કારણે કાર ખાડીમાં ખાબકી હતી.
જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં હતાં. આ ઘટનાના બીજા દિવસે ભરૂચની મઢુલી ચોકડી પાસે લકઝરીની ટકકરે છ વર્ષીય બાળકીનું મોત થયું હતું. બે દિવસમાં બે બાળકીઓ સહિત 4 લોકોના જીવનદીપ બુઝાઇ જતાં જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. ભરૂચ- દહેજ બાયપાસ રોડ પર આવેલાં હીંગલોટ, દેત્રાલ સહિતના ગામના લોકોએ કલેકટર કચેરી ખાતે હલ્લો બોલાવી 15 દિવસમાં ખાડાઓ પુરવા માટે તંત્રને અલ્ટીમેટમ આપ્યું હતું. લોકોનો મિજાજ પારખી તંત્રએ દહેજ રોડ પર ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરાવી હતી.
પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે, ખાડાઓ પર માત્ર ડામર નાખી દેવામાં આવ્યો છે જે એક જ વરસાદમાં ધોવાઇ જશે અને પછી ફરીથી રોડ ખાડાવાળો બની જશે. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતાં એક કર્મચારીએ તો ઉધ્ધત જવાબ આપતાં કહયું હતું કે, ખાડાઓ ન જોઇતા હોય તો આખો રોડ બંધ કરાવી દો. અમે અમારૂ કામ કરીને જતાં રહીશું. ખાડામાં ડામર ટકશે કે નહિ તે અમારે જોવાનું નથી.

IMG-20220911-WA0143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *