હર ઘર નલ સે જલ”
નાઘેડી સોસાયટી વિસ્તારની પેયજળ યોજનાનું કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
રૂ.૪૪.૪૫ લાખના ખર્ચે અવધનગરી, આદિનાથ પાર્ક તેમજ નાઘેડીનાં અન્ય વિસ્તારોમાં “નલ સે જલ” યોજના હેઠળ પાણી પૂરું પાડવામાં આવશે
સરકારની પ્રાથમિકતા છે લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવી : કૃષિમંત્રી શ્રી
જામનગર તા.૯, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના નાઘેડી ગામે પેયજળ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાસ્મો પુરસ્કૃત નાઘેડી ગામના સોસાયટી વિસ્તારોને પીવાના પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થાના કામોની યોજના અંતર્ગત રૂ.૪૪.૪૫ લાખના ખર્ચે અવધનગરી, આદિનાથ પાર્ક તેમજ નાઘેડીનાં અન્ય વિસ્તારો મળી ૪૦૦ જેટલા ઘરમાં “નલ સે જલ” યોજના હેઠળ પાણી પૂરું પાડવામાં આવશે.
ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં જલક્ષેત્રે પુરવઠા વિભાગ અગ્રેસર રહ્યું છે. આ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રાજ્યના ઘરોમાં પાણી પહોંચાડવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. નાઘેડી ગામની આ યોજના પૂર્ણ થતાં “નલ સે જલ” યોજના હેઠળ તમામ ઘરોમાં પાણી પૂરું પાડવામાં આવશે. સરકારની પ્રાથમિકતા લોકોની પાયાની જરૂરીયાતો પૂરી કરવાની છે. લોકોને પોતાના ઘર આંગણે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજના થકી છેવડાના ગામડા સુધી પણ પીવાનું પાણી પહોંચ્યું છે. જામનગર જિલ્લામાં ૧,૪૨,૦૮૪ ઘરો પૈકી ૧,૪૧,૫૨૨ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. અને જુલાઇ ૨૦૨૨ સુધીમાં બાકીના ઘરોમાં પણ નળ જોડાણની કામગીરી પૂર્ણ થશે.
વાસ્મો પુરસ્કૃત નાઘેડી સોસાયટી વિસ્તારની પેયજળ યોજના અંતર્ગત નાઘેડી ગામમાં રૂ. ૧૮.૨૪ લાખના ખર્ચે ૫ લાખ લીટરની ક્ષમતાનો સંપ, ૨૧.૧૭ લાખના ખર્ચે અંદાજે ૫ કિમીની આંતરિક વિતરણ પાઇપલાઇન, રૂ.૨.૮૦લાખના ખર્ચે ૪૦૦ ઘરોમાં નળ જોડાણ, રૂ.૮૮ હજારના ખર્ચે નિર્માણ થનાર સંપ પાસે પંપ હાઉસ, રૂ.૮૫૦૦૦ના ખર્ચે મશીનરી, રૂ.૫૦હજારના ખર્ચે સંપ પર વીજ જોડાણ નાખવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં નાઘેડી ગામના લોકોને ઘર આંગણે જ પીવાનું પાણી મળી રહેશે.
આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, વાસ્મોના કાર્યપાલક ઈજનેર શ્રી વી.વી.કારીયા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ, નાઘેડીના સરપંચ શ્રી સુરેશભાઇ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચોના મંત્રી શ્રી સુરેશભાઇ વસરા સહિતના આગેવાનશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


