દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ખરીદીના હેતુથી લોકોની અવરજવર વિશેષ રહેતી હોય છે. આ દરમિયાન ટ્રાફિક નિયમન માટે વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
શહેરના પંચહાટડી ચોકથી કાળવા ચોક સુધીનો માંગનાથ રોડ તેમજ પંચહાટડી ચોકથી દિવાન ચોક તરફ જવાનો હવેલીવાળો રોડ સાંકડો હોય, તેમજ આ રોડ પર મોટા ભાગની કાપડની દુકાનો આવેલી છે. અહિ તહેવારો દરમિયાન લોકોની અવરજવર ખૂબ જ રહેતી હોય છે.
આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી ટ્રાફિક નિયમનના હેતુસર રસ્તાઓ ઉપર ફોરવ્હીલ, ઓટોરીક્ષા, છકડો રીક્ષા, સ્કુટર, સાઇકલો, હાથલારી વગેરે તમામ પ્રકારના વાહનો લાવવા કે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાઓમાં આઝાદ ચોક પોસ્ટ ઓફિસ પાસેથી પંચહાટડી ચોકથી દિવાન ચોક તરફ જતા માલીવાડા રોડના નાકા સુધી, પંચહાટડી ભોકથી ગેબનશાહપીરની દરગાહ, દાણાપીઠ સુધીનો સમાવેશ થાય છે.
જ્યારે મોર્ડન ચોક થી એમ.જી.રોડ, ચીતાખાના ચોક સુધી તથા દાણાપીઠ વિસ્તારમાં ભારે વાહનો જેવા કે બસ, ટ્રેક્ટર, મેટાડોર જેવા તમામ પ્રકારના ભારવાહક વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામુ તાત્કાલીક અસર થી તા.૨૬/૧૦/૨૦૨૨ સુધી સવારના ૮-૦૦ કલાકથી ૨૪ -૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
