દરિયાઈ આબોહવા ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં ચામડીના રોગોથી બચવા માર્ગદર્શન અને સંવેદના સાથે સારવાર વેરાવળ સિવિલ હોસ્પિટલના ડો. રવિ શામળા પાસેથી મળી રહી છે
અહિંયાના લોકો ખૂબ માયાળુ છે, તેમનો સ્નેહ તેમના શબ્દોમાં નહી પણ તેમની આંખોમાં અચૂક જોવા મળે છે…
– ડો રવિ શામળા
ગિરગઢડા તા 2
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લો દરિયા કાંઠે વસેલો છે. જેથી અહિંયા સારા પ્રમાણમાં મત્સસ્યઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. દરિયાઈ પેદાશના ઉત્પાદનમાં જિલ્લાનું ઘણું યોગદાન રહ્યું છે. ત્યારે સ્વભાવિક રીતે સ્થાનિક લોકો રોજગારી પણ આ ઉદ્યોગના માધ્મમતી મેળવતા હોય. રાજ્ય સરકાર પણ સાગરખેડૂઓના ઉત્કર્ષ માટે નવીન પ્રકલ્યો અમલમાં મૂક્યા છે. પરંતુ દરિયાકાંઠે વસેલા માછીમાર સાથે સંકળાયેલા લોકોને એક વિશિષ્ટ આબોહવાનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને સતત ભેજવાળુ વાતાવરણ અને ખારાશ ભરેલા પવનો. જે ઈમારતો, રહેણાંક મકાન લોખંડ વગેરેને પ્રભાવિત કરતા હોય છે. સાથે જ લોકોને આરોગ્યને પણ થોડા-ઘણાં અંશે અસર કરતા હોય છે. ખાસ કરીને દરિયાખેડૂ અને માછીમારી સાથે સંકળાયેલા લોકોમાં ચામડીના રોગો સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે.
તાજેતરમાં જ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં નિમણૂંક પામેલા તરવરિયા-ઉત્સાહી યુવાન અને ચામડીના સ્પેશ્યાલિસ્ટ એમ.ડી. ડો. રવિ શામળા કહે છે કે, અહિં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સામાન્ય કરતાં અલગ આબોહવા જોવા મળે છે. સાથે આ વિસ્તારમાં માછીમાર સમુદાય મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. તેમના વ્યવસાય મુજબ દરિયાઈ પેદાશનાં સંપર્કમાં સતત આવવાનું રહે છે. તેના લીધે ફંગલ ઈંફેક્શન સામાન્ય રીતે જોવા મળે છે. તેને મેડીકલની ભાષામાં એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઈટીસ કહેવાય છે. સાથે જ લોકોમાં હાઈજીન સંબંધિ જાગૃતિનુ પ્રમાણ ઓછું જોવા મળે છે. અંદાજે લગભગ ૫૦૦ કેસમાંથી ૩૦૦ થી ૩૫૦ કેસ ફંગલ ઈન્ફેક્શનના જોવા મળે છે. પણ માત્ર થોડી કાળજી લેવાથી આ ફંગલ ઈન્ફેક્શનથી બચી શકાય છે.
ખાસ કરીને માછીમારી સાથે સંકળાયેલા લોકોએ ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે ગ્લવ્સનો ઉપયોગ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મોટાભાગે લોકોને હાથના ભાગે જ ચામડીના રોગ જોવા મળે છે. ત્યારે લોકો હાથમાં કોકોનેટ ઓઈલ લગાવીને ગ્લવ્સનો પહેરવાનુ રાખે તો ફંગલ ઈન્ફેક્શનથી બચી શકાય. આ ઉપરાંત ફંગશ રોગ જેને ધાઘર પણ કહે છે તેનાથી બચવા રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ટુવાલ, સાબુ વગેરે વસ્તુઓ અલગ રાખવા જોઈએ. જેથી ઈન્ફેક્શનના ફેલાવવાથી રોકી શકાય. તેમજ અન્ય લોકોએ પણ ન્હાયા બાદ શરીરને વ્યવસ્થિત કોરૂ કરવું જોઈએ અને એકદમ ઘસીને નહીં પણ હળવા હાથે શરીરને કોટનના કાપડથી શરીરને લુછવુ જોઈએ. ખાસ કરીને અન્ડર આર્મ સહિતના ભાગોનું હાઈજીન મેન્ટેઈન કરવી જોઈએ. સાથે જ હળવા ગરમ પાણીથી સ્નાન કરવાનું રાખવું જોઈએ. ખારા પાણીના કારણે હેરફોલ અને ડેન્ડ્ર્ફની સમસ્યા જોવા મળતી હોય છે.
ડો. રવિ શામળા તેમના ટૂંકાગાળાના અનુભવ જણાવતા કહે છે કે, અહિંયાના લોકો ખૂબ માયાળુ છે. અમે આપેલી સલાહને અક્ષરસહ પાલન કરે છે. એક ફંગલ ઈન્ફેક્શનના દર્દીને દવા અને આપેલી સલાહથી એકદમ સ્વસ્થ થઈ જતા મને હોંશે-હોંશે ભગવત્ ગીતા ભેટમાં આપી હતી. ખરેખર અહિના લોકોનો સ્નેહ તેમના શબ્દોમાં નહીં પણ તેમની આંખોમાં અચૂક જોવા મળે છે.
હાલ તો ડો. રવિ શામળા વેરાવળમાં જ પ્રેક્ટિસ કરવાનું વિચારી રહ્યા છે. તેમણે એમ.બી.બી.એસ. નો અભ્યાસ અમદાવાદ ખાતેની બી.જે મેડીકલ કોલેજમાંથી અને માસ્ટર રાજકોટ ખાતેની મેડીકલ કોલેજમાંથી પૂર્ણ કર્યો છે. આમ, ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને ચામડી, વાળ વગેરેના રોગોની સારવાર એક નિષ્ણાંત ડોક્ટરની સેવા મળી રહી છે.
ડો. રવિ શામળાએ કોરોનાની ચામડી પરની અસરોનો અભ્યાસ કર્યો
ડો. રવિ શામળાએ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓ પર ચામડી પર થતી વિપરીત અસરોનો પણ અભ્યાસ કર્યો છે. તેનુ રિસર્ચ પેપર પણ તેમણે પબ્લીસ કર્યું છે. અભ્યાસ દરમિયાનના તારણો મુજબ કોરોનાના કારણે સ્ત્રી-પુરૂષોમાં વાળ ઉતરવા, સ્કીન પર રેસિસ, ખંજવાળ આવવી, સ્કીન સૂકી પડવી જેવા લક્ષણો જોવા મળે છે. ઉપરાંત સ્ત્રીઓમાં ખીલની સમસ્યાઓ જોવા મળી છે. નાના બાળકો અને છોકરાઓમાં શરીર પર રેસિસ, ખંજવાળ અને ગુમડા જેવી સમસ્યાઓ જોવા મળી છે.


