સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા પ. પૂ. મોરારીબાપુનનાં સાંનિધ્યમાં રૂડું એકાદશી પર્વ યોજાયું . શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ગરિમામય એક દાયકો પૂર્ણ કરતાં તારીખ ૧૧ મે એ પ. પૂ. મોરારીબાપુના આશિર્વાદ સાથે આ પર્વમાં નવનિર્મિત બિલ્ડીંગ ભરોસો તથા કેન્સર કેર સેન્ટર, હાડકાંનો વિભાગ અને આંખના વિભાગનું લોકાર્પણ પણ થશે. આ તકે શિક્ષણ, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિત્વનું સંન્માન પણ પૂ. મોરારી બાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ . શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આ સાત વર્ષ દરમિયાન દસ લાખથી વધુ દર્દીઓએ નિશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે
——————————————————————–
સાવરકુંડલા ખાતે શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ગરિમામય એક દાયકો પૂર્ણ કરતાં તારીખ ૧૧ મી મે બુધવારનાં રોજ સાંજે ચાર વાગે નવનિર્મિત બિલ્ડીંગ ભરોસાના લોકાર્પણ સમારોહ સાથે મંગલ પ્રારંભ થયો. આ એકાદશીનું પર્વ એટલે સાહિત્ય શિક્ષણ સંન્માન પર્વ અને સ્વર પર્વ રૂપે પર્વ એકાદશીનું આયોજન શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં પ્રાંગણમાં સાંજે ૪-૦૦ થી કરવામાં આવેલ. આ પાવન પર્વ નિમિત્તે ૩૩૦૦૦ સ્ક્વેર ફૂટના નવનિર્મિત બિલ્ડીંગ ભરોસો તથા કેન્સર કેર સેન્ટર, હાડકાંનો વિભાગ અને આંખના વિભાગનું લોકાર્પણ થયું આ શુભ પ્રસંગે જ શિક્ષણ, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિત્વોનું ભાવભર્યું સંન્માન પણ કરવામાં આવેલ. ટૂંકમાં પરિચય આપીએ તો ૭ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ લોકાર્પિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યના સાત વર્ષ સફળ અને સંતોષદાયી રીતે પૂર્ણ થયા છે. કેવળ સેવાર્થે નિર્મિત આ નિશુલ્ક હોસ્પિટલને આ સાત વર્ષ દરમિયાન જનસમુદાયનો કલ્પનાતીત સહયોગ સાંપડ્યો છે. અને દસ લાખથી વધુ દર્દીઓએ આ આરોગ્ય સેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે. જે ખુદ સેવાનું અનોખું પ્રમાણ દર્શાવે છે.. જે કાર્ય સાવરકુંડલા શહેર માટે પણ સીમાચિહ્ન રૂપ ગૌરવગાથા સમાન ગણાય. પ. પૂ. પ્રાતઃ સ્મરણીય મોરારીબાપુનાં આશિર્વાદ સાથે શરૂ થયેલું આ આરોગ્ય અભિયાન હજુ ભવિષ્યમાં અનેક કિર્તીમાન સ્થાપિત કરશે એ પણ દિવા જેવું જ સત્ય છે.
સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ દેશની પ્રતિષ્ઠિત ચેનલ આસ્થા ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલ . હાલની સાંપ્રત પરિસ્થિતિને લક્ષમાં રાખીને ખૂબ જ મર્યાદિત માત્રામાં કાર્યક્રમ સંપન્ન કરવાનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા, ઉપપ્રમુખ નંદલાલભાઈ માનસેતા અને સ્થાનીક ટ્રસ્ટી ભરતભાઈ જોષી, હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ મગનભાઈ પાંડવ સમેત તમામ કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી હતી.
અતિ નોંધનીય બાબત તો એ હતી કે આ સંસ્થાના ટ્રસ્ટી અને સુરતના ખ્યાતનામ હીરા ઉદ્યોગ અગ્રણી સવજીભાઈ ધોળકિયાનું પણ તેની લોકકલ્યાણની પ્રવૃત્તિને લક્ષમાં લઈને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પૂ. મોરારી બાપુના વરદ હસ્તે સંન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે સવજીભાઈ ધોળકિયાએ તેના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું હજુ ૭૫ તળાવ બનાવ્યા છે અને ૧૦૮ કરતા વધુ તળાવો બનાવવાની મહેચ્છા છે. તેમણે ખુદ આ હોસ્પિટલમાં રિલાયન્સ જેવી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક મળે છે તે ગૌરવની વાત ગણાય છે. આ તકે સવજીભાઈએ રાજુલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને પ્રતાપ દુધાતને ઉદેશીને કહ્યું હતું કે શેત્રુંજી અને ગાગડિયાને માટે કોઈ સુચારું પ્લાન કરો અને ખેડૂતોને પૂરતું પાણી મળે તેવી કોઈ પણ યોજનામાં સવજીભાઈનો સંપૂર્ણ સહકાર રહેશે.
જે દાતાશ્રીઓ ઉપસ્થિત રહી ન શક્યા તેનો વિડિયો મેસેજ પણ આ સમારોહમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મુંબઈનાં આંખના સર્જન ડો. કુલીન કોઠારીએ પણ આંખના વિભાગનાં ૧૧૧૧ ઓપરેશન તેમના સહયોગથી થશે એવી જાહેર મંચ પરથી જણાવ્યું હતું.
આ સમારંભમાં સિયારામ ટેક્સટાઈલ ના રમેશ પોદારે પણ સંસ્થાની સેવા પ્રવૃત્તિની ભારે પ્રશંસા કરી હતી.
વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ મહેતાએ પણ ખૂબ ટૂંકમાં માર્મિક પ્રસંગોચિત ઉદબોધન કરેલ. અંતમા
પૂ મોરારી બાપુએ પોતાના પ્રવચનમાં ભરોસા શબ્દનું વિવરણ તેની અનોખી શૈલીમાં કરેલ. પૈર પકડના છોડ દો, હાથ પકડના સીખલો.. કોઈનો હાથ અને સંગાથ નિશ્ર્ચિત મંજિલે પહોંચાડે જ છે. આ તકે નરસિંહ મહેતાનું શ્રેષ્ઠ પ્રમાણ જ પૂરતું છે તેમ કહી વાતને વિરામ આપેલ.
આ પ્રસંગે રતિલાલ બોરીસાગર દ્વારા પણ સંસ્થાની સેવા ભાવનાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડ્યાએ કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત દાતાશ્રીઓ તથા શહેરના મહાનુભાવો પણ સંસ્થાની આરોગ્ય લક્ષી નિશુલ્ક સેવા પ્રવૃત્તિઓ દ્વારા ભારે પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે કબીર ટેકરી મહંત પૂ. નારાયણદાસ સાહેબ, સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકૂળના પૂ. ભગવત સ્વામી, મોખરા હનુમાનજીના સંત તથા શિવદરબાર આશ્રમ કાનાતળાવના ઉષામૈયા ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહને અંતે સમારોહમાં ઉપસ્થિત તમામે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ભોજન પ્રસાદ બાદ રાત્રે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.
આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતા પૂર્વક સંપન્ન થયું હતું.


