યુક્રેન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં ‘મિલિટરી ઓપરેશન’ની જાહેરાત કર્યા બાદ યુક્રેનની રાજધાની કિવમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. તે જ સમયે, રશિયા દ્વારા યુદ્ધની ઘોષણા પછી યુક્રેનના પૂર્વીય બંદર શહેર માર્યુપોલમાં શક્તિશાળી વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા ૨૦ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકાર દ્વારા પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તિરુમૂર્તિએ યુએનએસસીમાં કહ્યું, ‘યુક્રેનમાં ૨૦,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. અમે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને અમારી જરૂરિયાત મુજબ પરત ફરવાની સુવિધા આપી રહ્યા છીએ.’ ભારતીય વિદ્યાર્થીઓ સહિત ૧૮૨ મુસાફરો સાથેની ફ્લાઈટ ૨૪ ફેબ્રુઆરીએ નવી દિલ્હી એરપોર્ટ પર આવી હતી. આ મુસાફરોને યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (યુઆઈએ) દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. આજે ગુરુવારે ૧૮૨ ભારતીય નાગરિકોને વિશેષ વિમાન દ્વારા નવી દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સેંકડો ભારતીયો હજુ પણ ત્યાં ફસાયેલા છે. યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (યુઆઇએ) ની રાજધાની કિવથી દિલ્હી એરપોર્ટ માટે આજે સવારે ૭ઃ૪૫ વાગ્યે એક વિશેષ ફ્લાઇટ ૧૮૨ ભારતીયો સાથે લેન્ડ કરવામાં આવ્યું હતું. ભારતમાં યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એક અધિકારીએ આ જણાવ્યું હતું. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી કે તમામ ભારતીય વિદ્યાર્થીઓએ અસ્થાયી રૂપે યુક્રેન છોડી દેવું જાેઈએ. આ સાથે, દૂતાવાસે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, તેઓ ચાર્ટર ફ્લાઇટ માટે તેમના સંબંધિત કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરે અને દૂતાવાસની સોશિયલ મીડિયા ચેનલ અને વેબસાઇટ પર પ્રકાશિત થતા અપડેટ્સ પર નજર રાખે. ભારતમાંથી યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ મેડિસિન વિદ્યાર્થીઓ છે, જેઓ દિલ્હીથી અને ગુજરાત રાજ્યમાંથી આવે છે. આવી સ્થિતિમાં ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓએ તેમના ઘરે પરત ફરતા ખુશી વ્યક્ત કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અપડેટ અનુસાર પરત ફરેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, તેઓએ કિવમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીનું પાલન કર્યું.
