*”ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં……?”*
****
*લુપ્ત થઈ રહેલી ચકલીઓના સંરક્ષણ અર્થે ધ્રાંગધ્રાના શંભુ ભાઈનું અનોખું અભિયાન, સ્વખર્ચે લાકડાના પક્ષીઘરનું વિતરણ કરે છે*
*વર્ષ – ૨૦૨૪ સુધીમાં ૫૧,૦૦૦ ચકલી ઘરનું વિતરણ કરવાનું લક્ષ્ય*
*સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા :*
ઘોડિયામાં સૂતેલા બાળકે સૌપ્રથમ જોયેલું-જાણેલું પક્ષી એટલે ઘર આંગણે ચી – ચી કરતી ચકલી. બાળક થોડુંક મોટું થાય એટલે દાદીને કહે કે મને ચકીબેનની વાર્તા તો સંભળાવો…અને ‘ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો, ચકી બેને ખીચડી રાંધી…’ એ વાર્તા સાંભળે. બાળક મોટું થાય એટલે ચકીબેનને પેલા ગીત સાથે રમવા પણ બોલાવે
*’ચકીબેન, ચકીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં……?….*
પરંતુ હવે ચકલીઓ ઓછી થતી જાય છે. મોટા શહેરોમાં તો સાવ લુપ્ત થઈ ગઈ છે. આવા સમયે સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા તાલુકાના શંભુભાઈએ ચકલીઓને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આજે લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે.
પક્ષી પ્રેમી શંભુભાઈ કહે છે પ્રકૃતિએ આપણને ઘણું આપ્યું છે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. ચકલી બચાવવાના પોતાના અભિયાન વિશે વાત કરતાં શંભુભાઈ જણાવે છે કે ‘ચી…ચી…ચી.. કરતી ચકલીઓના મધુર અવાજથી મારું ઘરઆંગણું ગુંજી ઉઠતું કારણ મારા ઘર આંગણે પુઠાના બનાવેલા ચકલી ઘરમાં ચકલીએ માળો બનાવ્યો હતો. રોજે સુથારી કામના વ્યવસાય પર નીકળું એ પહેલા મારી નજર એ ચકલીઘર પર પડતી. કિલ્લોલ કરતી ચકલીઓને જોઈ મને પણ આનંદ થતો પરંતુ એક દિવસ એવું બન્યું કે વરસાદના કારણે પૂંઠામાંથી બનાવેલ ચકલી ઘર ભીંજાઈ ગયું અને આખરે તૂટી ગયું ! ચકલીએ બનાવેલ એ માળો અને માળામાં રહેલ ઈંડા નીચે પડી ગયા અને તૂટી ગયા. આ જોઈને મારું મન કકળી ઉઠ્યું અને મેં નક્કી કર્યું કે હવે ચકલીઓ માટે પૂંઠાનું નહીં પરંતુ લાકડાનું મજબૂત ચકલી ઘર બનાવીશ અને વિનામૂલ્ય વિતરણ પણ કરીશ.’
શંભુભાઈ પોતાના ધંધામાંથી સમય કાઢીને બે કલાક ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે.આ ઘર મજબૂત અને ટકાઉ છે. વરસાદ- ઠંડી -ગરમીથી ચકલીઓને રક્ષણ આપે છે. આ ચકલીઘરની આવરદા ૧૦ થી ૧૨વર્ષની છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં ૫૧,૦૦૦ ચકલી ઘરનું વિતરણ કરવાનો નિર્ણય કરતા શંભુ ભાઈએ અત્યાર સુધીમાં આવા ૪૦ હજાર થી વધુ ચકલીઘરનું વિતરણ કર્યું છે.
*ચકલી ઘરના આ અભિયાનમાં લોકોએ પણ ઉત્સાહપૂર્વક સાથ-સહકાર આપ્યો*
શંભુભાઈએ શાળા, મંદિરો, ઘરો તેમજ વિવિધ સ્થળોએ વિનામૂલ્યે ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું. શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાઓએ ચકલી પાછી આવવા લાગી. જ્યાં ઘણા સમયથી લોકોએ ચકલીઓ નહોતી જોઈ ત્યાં પણ ફરી ચકલીઓ દેખાવા લાગી. લોકો તરફથી પણ તેમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો અને લોકો જન્મદિવસની ઉજવણી અને શ્રદ્ધાંજલિ જેવા પ્રસંગે શંભુ ભાઈ પાસેથી ચકલીઘર બનાવડાવવા લાગ્યા. શંભુભાઈના નિર્ધારિત કાર્યમાં સહકાર મળ્યો. કલબના સભ્યો, પક્ષીપ્રેમીઓ, નામાંકીત સંસ્થાઓની મદદથી વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરવામાં પણ મદદ મળી. શાળા, કોલેજ,બાગ બગીચા તેમજ મંદિર જેવા સ્થળ પર જાતે જઈને ચકલીઘર બાંધતા પ્રકૃતિ પ્રેમી શંભુ ભાઈ કહે છે કે, ‘બધાના સહકારથી આપણે આ લુપ્ત થતી ચકલીઓને બચાવી શકીશું. લીલાછમ વૃક્ષો પર પક્ષીઓનો કલરવ આપણો વૈભવ છે. પક્ષીઓનું ઘર વૃક્ષ છે. વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે ત્યારે પર્યાવરણનું જતન કરવું જોઈએ. લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિ બચાવવા ધર આંગણા સહિત સ્થળો પર ચકલી ઘર લગાવવા જોઈએ.જેથી ચકલી જેવા નાના પક્ષીઓને વરસાદ, ઠંડી – ગરમી અને તીવ્ર પવન સામે રક્ષણ મળી રહે અને તેમની સંખ્યા ઘટતી અટકે.
છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦ હજારથી વધુ ચકલીઘરનું વિતરણ કરતા શંભુભાઈ દર વર્ષે ૫૦૦૦ જેટલા ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરે છે.ચકલીઘર લેવા આવનાર વ્યક્તિને નિઃશુલ્ક આપે છે. પરંતુ જો વધુ સંખ્યામાં ચકલી ઘર કોઈને જોઈતા હોય તો માત્ર નજીવા થતા ખર્ચના પૈસા લઈ ચકલી ઘર આપે છે.આ ઉપરાંત શંભુભાઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવા માટેનું પાણી અને ચણ મળે તે માટે મોબાઈલ ચબૂતરા તેમજ પાણીના કુંડ બનાવીને લોકોને આપી રહ્યા છે. શંભુભાઇ લોકોને પણ ચકલી અને પક્ષી સંરક્ષણના આ સેવાકીય કાર્યમાં જોડાવા અપીલ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષીઓના સંરક્ષણ માટે સરકારશ્રી દ્વારા પણ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.
*વિશ્વ ચકલી દિવસ*
ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના મોહમ્મદ દિલાવરભાઈએ ‘નેચર ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા’ની સ્થાપના કરી હતી. ફ્રાંસની ઈકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પ્રેરણાદાયક પહેલ છે. આ પહેલ અંતર્ગત સોપ્રથમ વર્ષ-૨૦૧૦માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
—0000—
*હિતેશ રાજપરા… ધ્રાંગધ્રા
