સર્વ શિક્ષા અભિયાન-જિલ્લા પ્રોજેક્ટ કચેરી જૂનાગઢ અને આઇ. ઈ. ડી વિભાગ જૂનાગઢનાં માર્ગદર્શન અને સહકારથી બી.આર.સી.ભવન-કેશોદ દ્વારા કેશોદ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે તેમનામા; છુપાયેલ સુશપ્ત શક્તિઓને ખીલવી શકાય તેવી જૂનાગઢ શહેરમાં આવેલ પર્યટન સ્થળોની એક્ષપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેશોદ બી.આર.સી. ભવન ખાતેથી ૨૩ જેટલા દિવ્યાંગ બાળકોએ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને એક્સપોઝર વિઝીટ માટેની પ્રવાસની શરૂઆત કરી હતી અને પ્રદર્શન નિહાળ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ ઘૂચલા ઉપસ્થિત રહી ભુલકાઓને જૂનાગઢનાં પ્રવાસન સ્થળોની વિગતો આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાં વ્યક્ત કરી બાળકો સાથે સંવાદ અને સ્વાગત કર્યું હતું.
દિવ્યાંગ બાળકોએ બીએપીએસ મંદિરના સ્વામીશ્રીનો સંત સત્સંગ થકી જ્ઞાનવર્ધન કર્યુ હતુ. ભવનાથ તિર્થક્ષેત્રનાં ગોરક્ષનાથ આશ્રમની મુલાકાત વેળાએ શેરનાથ બાપુએ દિવ્યાંગ બાળકોને આશિર્વચન પાઠવ્યા હતા. ભવનાથ તિર્થક્ષેત્રમાં આવેલ દર્શનિય સ્થળો, પ્રવાસન સ્થળોની મુલાકાત બાળકોને કરવી તેના વિશે સમજૂતી આપી હતી.જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર બાળકોને લઇ જઇને રેલ્વે સ્ટેશન વિશે માહિતી આપીને કઈ રીતે ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે તે સ્ટેશન માસ્ટર દ્વારા બતાવવામાં આવ્યું હતું. બાળકોને પ્રિય એવા સકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત અને પરિસરમાં જ્ઞાનર્વધ રમતો સાથે પ્રકૃતિ અને પ્રાણીઓને નિહાળી વિવ્યાંગ બાળકો વિવિધ પ્રાણીઓને રૂબરૂ જોઈ ને ખુશ ખુશાલ થઈ ગયા હતા. કેશોદ પહોંચ્યા બાદ દરેક દિવ્યાંગ બાળકોનાં વાલીઓએ બાળકોની એક્સપોઝર વિઝીટ ટૂરની સરાહના કરતા જણાવ્યુ હતુ કે બાળકોને આવા આયોજીત થનાર પ્રીવાસ થી જ્ઞાન સાથે નવી જાણકારી મળે છે. સમગ્ર કાર્યક્રમ માટે બી.આર. સી.કો – ઓર્ડીનેટર શ્રી નારણભાઇ ગલ અને જિલ્લા આઇ.ઈ.ડી.કો – ઓર્ડીનેટર ગોપાલભાઈ પંડ્યા તેમજ તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર જહેમત ઉઠાવી હતી.


