કલેકટર કચેરીના સભાખંડ ખાતે NIDM (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તથા NDMA
(નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના ઉચ્ચ અધિકારીશ્રીઓએ બેઠક યોજી બિપરજોય વાવાઝોડા અંગેની સર્વગ્રાહી
સમીક્ષા કરી હતી. અધિકારીશ્રીઓએ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા વાવાઝોડા પૂર્વે કરેલ તૈયારીઓ, વાવાઝોડા દરમિયાન કરેલ
બચાવ અને રાહતની કામગીરી તથા વાવાઝોડા બાદ કરેલ રીસ્ટોરેશનની કામગીરી વગેરે બાબતે ચર્ચા કરી હતી અને જરૂરી
વિગતો મેળવી હતી.
ટીમના વડા તરીકે બેઠકમાં ઉપસ્થિત રહેલ પ્રા.સૂર્યપ્રકાશે વિવિધ વિભાગો દ્વારા વાવાઝોડા સંદર્ભે હાથ ધરેલ કામગીરીની
વિગતો મેળવી હતી. જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહ તથા પ્રાંત અધિકારી શ્રી ડી.ડી. શાહે વિવિધ વિભાગો દ્વારા રચવામાં
આવેલ ટીમો, ટીમના સભ્યો, આશ્રય સ્થાનો તથા સ્થળાંતરિત કરાયેલ નાગરિકોની વિગતો, પશુમૃત્યુ, ખેતીવાડી તથા મકાનોને
થયેલ નુકસાન, વીજ પુરવઠાની સ્થિતિ, ઉપયોગમાં લેવાયેલ વિવિધ સાધનોની વિગતો, વાવાઝોડાથી થયેલ ખેતી, વિજળી,
પાણીપુરવઠો, મત્સ્યદ્યોગ વગેરેની વિગતો તેમજ તંત્ર દ્વારા કરાયેલ વિશેષ ઉલ્લેખનીય કામગીરી વગેરે જેવી વિગતો રજૂ કરી
હતી અને તંત્ર દ્વારા હાથ ધરાયેલ સમગ્ર કામગીરીથી માહિતગાર કર્યા હતા.
પ્રા.સૂર્યપ્રકાશે જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી અને
ઝીરો કેઝ્યુલીટીના લક્ષ્યાંકને સુપેરે પાર પાડવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે અધિકારીઓ તથા
પદાધિકારીઓએ સાથે મળી વિવિધ ક્ષેત્રે અસરકારક આયોજન કરી આવી પડેલી આફતનો સામનો કર્યો અને જિલ્લાના દરેક
નાગરિકોને વાવાઝોડા દરમિયાન સુરક્ષિત રાખવામાં સફળ રહ્યા. આપણે સૌએ આ પ્રકારની આફતમાંથી સતત શીખતા રહેવાનું
છે અને ભવિષ્યમાં આવનારી આફતોમાં તે અનુભવનો ઉપયોગ કરી ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારના આયોજનો હાથ
ધરાય તે ઈચ્છનિય છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ
એજન્સીના નિયામક શ્રી ચૌધરી, ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ શ્રી બીપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ડે.
કલેકટર શ્રી સ્ટેમ્પ ડ્યુટી, નાયબ વન સરંક્ષકશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આર્મી,નેવી,એરફોર્સના અધિકારીશ્રીઓ, માર્ગ અને
મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ. વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સિંચાઈ વિભાગ, પશુપાલન વિભાગ,
ખેતીવાડી વિભાગ, જિલ્લા હોમગાર્ડઝ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધીશ્રીઓ
ઉપસ્થિત રહ્યાં હતા.


