Gujarat

પ. પૂ. ઉષામૈયાના શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) દ્વારા સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અન્નક્ષેત્ર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ

સોમનાથ ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અન્ન ક્ષેત્રમાં ૪૦ હજાર લોકોએ મહાપ્રસાદ લીધો
સોમનાથના ટ્રસ્ટીઓ પણ આ અન્નક્ષેત્રની મુલાકાત લઈ ચૂક્યા છે
“જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો” આ ઉક્તિને સાર્થક કરતા પરમ પૂજ્ય શ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાના તળાવ) આજે ૮૬ વર્ષની ઉંમરે પણ નિઃસ્વાર્થ ભાવે માનવસેવામાં રત્ન છે. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના આ સંત છેલ્લા ૬૯ વર્ષથી માત્ર દૂધ પર જ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.
 
મહાશિવરાત્રીના પાવન અવસરે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં છેલ્લા ૧૨ વર્ષથી તેઓ દ્વારા વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ અન્નક્ષેત્રની મુલાકાત લીધી હતી, જ્યાં અંદાજે ૪૦૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પૂજ્ય માતાજી તમામ પોલીસ સ્ટાફ, સરકારી કર્મચારીઓ અને મંદિરના સ્ટાફને પણ આદરપૂર્વક મહાપ્રસાદ માટે આમંત્રણ આપે છે. જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન માળવેલા ખાતે ૨૧ વર્ષ સુધી અને વૃંદાવનમાં ગિરિરાજજીની પરિક્રમા દરમિયાન છેલ્લા ૧૦ વર્ષથી તેઓ હજારો દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર ચલાવે છે.
શિવ દરબાર આશ્રમમાં હાલમાં ૩૬૫થી વધુ ગાયોનું પાલનપોષણ કરવામાં આવે છે. આ ગાયોનું દૂધ, દહીં, છાશ અને ઘી વેચવામાં આવતું નથી. પરંતુ અમરેલી જિલ્લાની પ્રસૂતા બહેનો માટે કાટલું (સુખડી)ની કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ કીટની કિંમત આશરે રૂ. ૨૦૦૦ છે અને દરરોજ ૨૫-૩૦ કીટનું વિતરણ કરવામાં આવે છે.
ઉનાળા દરમિયાન સાવરકુંડલાની ૯  છાત્રાલયોમાં તેમજ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સેવા માટે દરરોજ વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. પૂજ્ય માતાજીનો મુખ્ય ધ્યેય સંસ્કારી સમાજનું નિર્માણ કરવાનો અને ભૂખ્યાને અન્નદાન કરવાનો છે.
પૂજ્ય માતાજીની પ્રેરણાથી છેલ્લા ૨૨  વર્ષથી સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ માનવસેવ તેમજ અન્ય સેવા  કાર્યો કરી રહ્યું છે.
બિપીન પાંધી સાવરકુંડલા