Gujarat

જૂનાગઢ એપીએમસીની કુલ આવક વધતા 8.47 કરોડને પાર

​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2024-25 ની સરખામણીએ વર્ષ 2025-26 દરમિયાન આવકમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. યાર્ડની માર્કેટ ફી અને અન્ય ક્ષેત્રોની આવકમાં વધારો થતાં સંસ્થાની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે.

આ સાથે જ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ પ્રશાસન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે જેથી ખેડૂતોની જણસીને નુકસાન ન થાય. વરસાદી માહોલ દરમિયાન પાકને પલળતો બચાવવા માટે યાર્ડમાં ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને ખેડૂતો તેમજ વાહન ચાલકોને પણ માલની સુરક્ષા માટે તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ગત વર્ષની સરખામણીએ વર્ષ 2025-26 માં આવકમાં ખૂબ જ સારો અને નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેમણે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 માં માર્કેટ ફીની આવક 5,32,66,238 રૂપિયા થઈ હતી અને યાર્ડની કુલ આવક 8,09,67,681 કરોડ રૂપિયા જોવા મળી હતી.

આ તમામ આંકડાની સરખામણીએ વર્ષ 2025-26 માં માત્ર માર્કેટ ફીની આવકમાં જ 10 થી 11 લાખ રૂપિયા જેવો વધારો નોંધાયો છે, જેના કારણે ચાલુ વર્ષે માર્કેટ ફીની આવક વધીને 5,43,18,818 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત અન્ય વહીવટી આવકોમાં પણ 30 થી 32 લાખ રૂપિયા જેટલો વધારો નોંધાયો છે, જેથી આ વર્ષે યાર્ડની કુલ આવક 8,47,08,053 રૂપિયા પર પહોંચી ગઈ છે.

​હાલ વરસાદની સીઝન શરૂ થવાની પૂરેપૂરી તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે જૂન મહિનાના છેલ્લા પખવાડિયામાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જતું હોય છે, જેને ધ્યાનમાં રાખીને યાર્ડ દ્વારા પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે.

હાલના તબક્કે ખેડૂતો દ્વારા લાવવામાં આવતી તમામ જણસીની આવક માત્ર શેડની અંદર જ ઉતરાવવામાં આવી રહી છે જેથી અચાનક વરસાદ આવે તો પણ માલ સુરક્ષિત રહે. શેડની બહાર કોઈપણ પ્રકારના પાકની ખુલ્લામાં ઉતરાઈ કરવાની સખત મનાઈ કરવામાં આવી છે. જો કે, ક્યારેક શેડમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જ છૂટક આવકને મજબૂરીવશ શેડની બહાર ઉતારવી પડતી હોય છે.

​આવી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ વરસાદી વાતાવરણની શરૂઆત જેવું જણાશે ત્યારે યાર્ડ પ્રશાસન દ્વારા ખુલ્લામાં લૂઝ માલની આવક સદંતર બંધ કરી દેવામાં આવશે. તેમણે ખેડૂત ભાઈઓને ખાસ આહ્વાન કર્યું હતું કે તેઓ પોતાની જણસી માત્ર કટ્ટામાં ભરીને જ યાર્ડમાં લાવે જેથી તેનો યોગ્ય સંગ્રહ થઈ શકે.

આ સાથે જ તેમણે માર્કેટિંગ યાર્ડ ખાતે માલ લઈને આવતા તમામ ખેડૂતો અને વાહન ચાલકોને આગ્રહપૂર્વક વિનંતી કરી હતી કે, જ્યારે પણ તેઓ વાહનમાં માલ લાવે ત્યારે તેને તાડપત્રીથી પૂરતી રીતે ઢાંકીને જ લાવે. એટલું જ નહીં, યાર્ડમાં માલ ખાલી કરતી વખતે પણ નીચે પાલ અથવા તાડપત્રી પાથરવી અને ઉપરથી માલ વ્યવસ્થિત ઢાંકવો, જેથી ભારે પવન સાથે આવતા વરસાદની વાછટથી કિંમતી પાક પલળે નહીં અને બગાડ અટકાવી શકાય.