જામનગરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા શહેરના લાખોટા તળાવની પાળ પર આવેલા શહીદ સ્મારક ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાલાર જિલ્લાના માજી સૈનિકો તેમજ કારગિલ યુદ્ધ સહિત દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ઉપસ્થિત સૌએ શહીદોના અદમ્ય શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રસેવાને યાદ કરીને તેમને નમન કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ જેવા દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માજી સૈનિકોએ જણાવ્યું હતું કે કારગિલના વીર જવાનોએ દેશની અખંડિતતા અને સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તેમનું બલિદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.
કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌએ શહીદોના બલિદાનને ક્યારેય ન ભૂલવાનો અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

