ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણીને સુશોભિત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણી એ આરોગ્ય ક્ષેત્રના એક મહત્વપૂર્ણ પડકારને ઉકેલવા તરફનો સાર્થક પ્રયાસ છે. તેમણે એ વાતની ખુશી વ્યક્ત કરી હતી કે નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન હેઠળ સ્ક્રીનિંગનો લક્ષ્યાંક સમય કરતાં વહેલો પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નવજાત શિશુઓથી લઈને ૪૦ વર્ષ સુધીની ઉંમરના સાત કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવું એ કોઈ નાની સિદ્ધિ નથી; તે વિશ્વમાં આનુવંશિક રોગના સ્ક્રીનિંગ માટેની સૌથી મોટી પહેલોમાંની એક છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મિશન મોડમાં હાથ ધરવામાં આવેલા સ્ક્રીનિંગના પરિણામે જ અત્યાર સુધીમાં અંદાજે ૨.૫ લાખ લોકોમાં સિકલ સેલ રોગની ઓળખ થઈ છે, અને આ રોગના ૨૦ લાખથી વધુ વાહકો પણ ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમણે આટલી મોટી સંખ્યામાં કેરિયર્સ દ્વારા ઉભા થતા પડકારોને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સિકલ સેલ રોગના દર્દીઓ અને કેરિયર્સની માત્ર ઓળખ કરવા માટે જ નહીં પરંતુ તેમની યોગ્ય સ્વાસ્થ્ય સંભાળ સુનિશ્ચિત કરવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ રાજ્યએ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન આયોજિત “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” હેઠળ ચાર લાખથી વધુ મહિલાઓના સ્ક્રીનિંગનો રેકોર્ડ બનાવીને સિકલ સેલ રોગની સમસ્યાના ઉકેલ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે.
રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે મધ્ય પ્રદેશ સરકારે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ પર “સિકલ મિત્ર” પહેલ શરૂ કરી હતી. આ પહેલ હેઠળ, સરકારી અને બિનસરકારી સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને એનસીસી કેડેટ્સને જાગૃતિ લાવવા અને દર્દીઓને સહાય પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ રાજ્યોની સામૂહિક શક્તિ અને સક્રિય જાેડાણ દ્વારા, આપણે વર્ષ ૨૦૪૭ પહેલા જ દેશમાંથી સિકલ સેલ સંબંધિત રોગોને નાબૂદ કરવાના આપણા રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈશું.

