Gujarat

વડાપ્રધાન સ્વયં બાળકોના ભવિષ્ય માટે, તેમની પરીક્ષા માટે ચિંતા વ્યક્ત કરે છે : સાંસદશ્રી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં  ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત વાતચીતની છઠ્ઠી આવૃત્તિનું આયોજન આજે રોજ કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને પરીક્ષાલક્ષી તણાવ અને અન્ય મુદ્દાઓને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જામનગર શહેરની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૧૦ અને ધો.૧૨ના તેમજ અન્ય વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. 

સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૮ થી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૩-  પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી રહ્યા છે. બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં અને પ્રસન્નતા પૂર્વક રીતે પરીક્ષા પસાર કરે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.  આપણા દેશના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે વડાપ્રધાને સ્વયં બાળકોના ભવિષ્ય માટે, તેમની પરીક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હોય. પહેલા બોર્ડની પરીક્ષાના સમયગાળા દરમિયાન વાતાવરણ ખૂબ ભયમુક્ત જોવા મળતું હતું. આજે હકારાત્મક રીતે પરીક્ષાની તૈયારીનો માહોલ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે.  બાદમાં સાંસદશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાલક્ષી ચર્ચા કરી હતી. અને ભયમુક્ત બનીને અભ્યાસ અને વાંચન કરવા જણાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના માટે શુભકામના પાઠવી હતી. 

અંતે ઉલ્લેખનીય છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પરિક્ષાના તણાવ અને વિદ્યાર્થીઓના અન્ય મુદ્દાઓને લગતા પ્રશ્નોના જવાબ આપે છે. આ પ્રોગ્રામની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ 25 નવેમ્બરથી 30 ડિસેમ્બર, 2022 સુધી આ પ્રોગ્રામમાં જોડાવા માટે નોંધણી કરાવી હતી.

 આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રી વિમલભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા,મહામંત્રીશ્રી મેરામણભાઈ ભાટુ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મધુબેન ભટ્ટ, શિક્ષણ સમિતિના સભ્યો, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલના પ્રિન્સિપલ ફાધર જ્યોર્જ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

-હાઇસ્કુલ-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *