જામનગર
સોનાના ૧૦ ગ્રામના ભાવ રૂ.૪૭૦૦૦ હોવાથી મધ્યમવર્ગમાં હજુ પણ જુના સોનામાંથી નવા દાગીના બનાવવાનો ટ્રેન્ડ વધતા આ પ્રમાણ ૫૦ ટકા જેટલું થયું છે. બીજી બાજુ સોના-ચાંદીના દાગીનાની રોકડેથી ખરીદીનું પ્રમાણ પણ વધ્યું હોવાનું સુર્વણકારોએ જણાવ્યું હતું.જામનગરમાં ગત વર્ષ કરતા દિવાળી પૂર્વે સોનાના ભાવ ૧૦ ટકા ઘટતા દાગીનાની ખરીદીમાં ઉછાળો આવ્યો છે. લગ્નસરાની સીઝનના કારણે ભારે વજનના ઘરેણાના વેંચાણમાં પણ વધારો નોંધાયો છે. દિવાળીના તહેવારોમાં પણ સોના-ચાંદીની વ્યાપક ખરીદી થશે તેમ જવેલર્સધારકોએ જણાવ્યું છે. જામનગરમાં ગત વર્ષે કોરોના મહામારી અને સોના ભાવમાં આગ ઝરતી તેજીના કારણે દિવાળી પૂર્વે અને દિપાવલીના તહેવારોમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી જૂજ થઇ હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કેસ ઘટતા લગ્નમાં ૪૦૦ લોકોને છૂટ આપવામાં આવી છે. બીજી બાજુ ગત વર્ષે દિવાળી પૂર્વે સોનાના ૧૦ ગ્રામના ભાવ રૂ.૫૦૮૦૦ હતાં. જયારે આ વર્ષે સોનાના ૧૦ ગ્રામના ભાવ અત્યારે રૂ.૪૭૦૦૦ છે. આથી સોનાના ભાવ ઘટતા દિવાળી પૂર્વે દાગીનાની ખરીદી નીકળતા સુર્વણકારોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આટલું ન નહીં લગ્નના તથા દિવાળી પૂર્વે ભારે અને હલકા વજનના સોનાના દાગીનાનું વેંચાણ વધ્યું છે અને દિવાળીના તહેવારો તથા ડીસેમ્બર મહિના સુધી ઘરાકી રહેવાનો આશાવાદ જવેલર્સધારકોએ વ્યકત કર્યો છે.
