પોરબંદર
પોરબંદરના પ્રવેશદ્વાર સમાન નરસંગ ટેકરી ખાતે આવેલ ફલાયઓવર બ્રીજની બંને તરફના સર્વિસ રોડ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી બિસ્માર હાલતમાં છે. મગરની પીઠ જેવા આ સર્વિસ રોડને તાત્કાલિક રીપેર કરવા પોરબંદર શહેર કોંગ્રેસના મહામંત્રી લાખણશી ગોરાણીયાએ નેશનલ હાઈવે વિભાગ તથા કલેકટરને લેખીતમાં રજુઆત કરી જણાવ્યું છે કે, આ સર્વિસ રોડ ઉપરથી દરરોજ હજારો લોકો પસાર થાય છે. એક તરફ નરસંગ ટેકરીથી સાંદીપની સુધીની તમામ સોસાયટીઓના રહેવાસીઓ તથા બીજી તરફ રાજીવનગર અને રોકડીયા હનુમાન મંદીર તરફની તમામ સોસાયટીઓના રહેવાસીઓ આ સર્વિસ રોડનો આવન જાવનમાં દરરોજ ઉપયોગ કરે છે. એક વર્ષથી પણ વધારે સમયથી આ બંને તરફના સર્વિસ રોડ ઉપરનો ડામર ઉખડી અને મસ મોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહયા છે. વાહન અકસ્માતો અને ખાડાઓના કારણે વાહનોમાં નુકશાની અને જાનહાનીના પણ અનેક બનાવો બને છે. આજ દિન સુધી આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ ન હોય જેથી નેશનલ હાઈવે વિભાગ તથા કલેકટરના સ્વાગત સહ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી છે.


