નેત્રંગ ટાઉનમાં આવેલ ગાંધીબજાર, ગિરધરનગર અને જવાહર બજાર સહિતના વિસ્તારમાં ઘણા વર્ષોથી ગટરનું પાણી રસ્તા પર ઉભરાતું હોવાથી તેને લઈ ઘણી દુર્ગંધ મારે છે તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતાં સ્થાનિકોએ ચુંટણી બહિષ્કારની ચીમકી આપી છે.
નેત્રંગ ગ્રામ પંચાયત નજીક આવેલ શ્રીજી ફળીયુ, જલારામ ફળીયુ, તુલસી ફળીયુ, ડબ્બા ફળીયુ આ તમામ ફળીયાઓ ગાંધીબજારની ફરતે આવેલ છે. આ વિસ્તારોમાં જવા માટેના મુખ્ય ત્રણ રસ્તા છે. ચાર રસ્તાથી જવાહર બજાર , જીનબજાર દેરાસરથી રેલ્વે સ્ટેશન અને નવી વસાહતથી અમરાવતી નદી વાળો રસ્તો છે.વિકાસના કામોમા ગ્રામપંચાયતથી લઇને તાલુકા પંચાયત માર્ગ અને મકાન વિભાગ, તાલુકા વિકાસ અધિકારથી પદાધિકારીઓ વચ્ચે ચાલતી ટકાવારીની નીતિને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપો થઇ રહયાં છે.
તલાટીના જણાવ્યા મુજબ 2015 માં ટાઉનના મુખ્ય રસ્તાઓનું લાખો રૂપિયાના ખર્ચથી રિકાર્પેટિંગ થયુ હતુ.આ રસ્તાઓ માત્ર એક બે ચોમાસની સિઝનમાં તૂટવા લાગ્યા હતા. ઠેરઠેર કપચાઓ છુટા પડી જતા છેલ્લા ઘણા વર્ષથી ચાર રસ્તાથી લઇને ગાંધીબજાર જલારામ મંદિર સુધી તેમજ જીનબજારથી લઇને ગાંધીબજાર જલારામ મંદિર સુધીના રસ્તાઓ પર ગટરનું પાણી આવી જતા તૂટી ગયા છે.
રસ્તાઓ પર કાયમી ધોરણે ગંદા પાણીનો નિકાલ થતો હોવાથી પ્રજા હેરાન પરેશાન થઇ ઉઠી છે. ઉભરાતી ગટરોને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે.વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ પણ જાતનુ નિરાકરણ નહિ આવતા રહીશોએ ચુંટણી બહિષ્કારની ચીમકી આપી છે. રસ્તાઓ પર કાયમી ધોરણે ગંદા પાણીનો નિકાલ થતો હોવાથી પ્રજા હેરાન પરેશાન થઇ ઉઠી છે.


