સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ૪૦૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી.
******
તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જોડાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયાનું આહવાન.
******
શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે જ્ઞાનશક્તિ અને યોગશક્તિનો સમન્વય જરૂરી – જીલ્લા પ્રભારી મંત્રી – શ્રી પુર્ણેશભાઇ મોદી.
******
આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’ ‘માનવતા માટે યોગ’
આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા.“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા, જીલ્લા પ્રભારી મંત્રીશ્રી પુર્ણેશભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં સંયુકત સચિવશ્રી ડૉ. પી. અશોક બાબુ, વરિષ્ઠ સનદી અધિકારી સુ.શ્રી. શ્રી નેહા ગર્ગ,સંસદસભ્યશ્રીઓ સર્વ શ્રી મનસુખભાઇ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા,નર્મદા સુગર ફેકટરી ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ પટેલ સહિતના જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયાએ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જોડાવવા આહવાન કર્યુ હતુ, યોગ એ આપણા ઋષિ મુનિઓએ માત્ર ભારતને જ નહી પરંતુ સમગ્ર વિશ્વને આપેલ અમુલ્ય ભેટ છે, જેનાથી વસુધૈવ કુટુંમ્બક્મની ભાવના સિદ્ધ થાય છે.ભારતીય જીવનશૈલી,પરંપરા અને આદર્શો વિશ્વએ સ્વિકાર્યા છે,જેને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને વૈશ્વિક માન્યતા અપાવી છે, જગતના વિકસિત દેશ એવા અમેરીકામાં ૧૫ % લોકો નિયમિત યોગ કરે છે.યોગ એ સારા સ્વાસ્થયની ચાવી છે, શાકાહારની સ્વિકૃતી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે.સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓને જોડીને દેશમાં ”એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની ભાવના જાગૃત કરી છે તેમા પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે ૧.૫ લાખ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દેશભરમાં સ્થાપવાની હાથ ધરેલી કામગીરીનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી ડૉ. માંડવીયાએ ઉમેર્યુ હતુ કે, આજની સ્થિતીએ દેશમાં ૧.૧૯ લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે,જે-તે વિસ્તારના કલસ્ટરમાં સપ્તાહમાં ૨ વાર યોગની પ્રવૃત્તિ નિયમિત ધોરણે થાય છે. આરોગ્યને દેશના વિકાસ સાથે જોડવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કર્યુ છે. દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ હશે તો સમાજ,રાજય અને રાષ્ટ્ર પણ સ્વસ્થ થવાની સાથે તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણનું સ્વપ્ન સાકાર થશે. યોગ દિવસની ઉજવણીના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વરા જનજાગૃત્તીનું વ્યાપક અભિયાન આગળ વધી રહ્યુ છે.પ્રજાએ મજબુત રાષ્ટ્રના નિર્માણ માટે જે-તે ક્ષેત્રમાં રહીને જરૂરી યોગદાન માટે સંકલ્પબધ્ધ થવાની મંત્રીશ્રી માંડવીયાએ હિમાયત કરી હતી. પણ દેશ હજી વધુ આગળ વધી શકે તે માટે સંકલ્પ લેવો જોઇએ.
જીલ્લા પ્રભારી મંત્રી શ્રી પુર્ણેશભાઇ મોદીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે જ્ઞાનશક્તિ અને યોગશક્તિનો સમન્વય જરૂરી છે.દેશની દરેક વ્યક્તિમાં ઉકત બંને શક્તિઓના સમન્વયથ વિકસિત દેશની સાથોસાથ શક્તિશાળી દેશોમાં ભારતની ગણના થશે તેવો આશાવાદ સેવ્યો હતો, કોરોનાકાળમાં દેશના પ્રત્યેક નાગરિકોના સ્વાસ્થયની ચિંતા કરીને નિ:શુલ્ક રસી ઉપલબ્ધ કરાવવાનું ભગિરથ કાર્ય દેશના પ્રધાનમંત્રી શ્રી અને આરોગ્યમંત્રીશ્રીએ કર્યુ છે.
આ પ્રસંગે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ કલાકાર શ્રી હિતુભાઇ કનોડિયા, લોકગાયિકા સુ.શ્રી. કિંજલ દવે,ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રી મયુર ચૌહાણ,વિશ્વપ્રસિદ્ધ ગાયક શ્રી આદિત્ય ગઢવી,ગુજરાતી ફિલ્મ કલાકાર સુ.શ્રી. યુક્તિ રાંદેરીયાએ પણ યોગસાધના કરી હતી. આ પ્રસંગે લોકસાહિત્યને ઉજાગર કરતા ઉપસ્થિત કલાકારોએ ભાગ લેનાર યોગસાધકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તમામે સરદાર સાહેબના સાંનિધ્યમાં યોગસાધનાનો લ્હાવો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા જીલ્લા કલેકટર શ્રી ડી.એ.શાહ,પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, કેવડીયા SRP ગૃપના સેનાપતી શ્રી એન્ડ્રુઝ મેકવાન,નાયબ વન સંરક્ષક સર્વશ્રી નિરજ કુમાર અને શ્રી અક્ષય જોષી સહિત જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ અને યોગસાધકો ઉપસ્થિત રહીને યોગસાધનામાં જોડાયા હતા.


