ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં માછીમાર સમાજે કાળા વાવટા ફરકાવવાની ચીમકી આપી છે. ભાડભુત બેરેજના કારણે બેકાર બની જનારા માછીમારોને વૈકલ્પિક રોજગારીની માગણીનો સરકાર સ્વીકાર કરે તે સંદર્ભમાં ગુરૂવારે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચમાં 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાડભુત બેરેજ યોજનાનું ભુમિપુજન કરાયું હતું ત્યારે ભરૂચ અને ભાડભુતના માછીમારોએ નાવડીમાં કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. હવે ફરી તારીખ 10મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ્સ પાર્કના ભુમિપુજન માટે આવી રહયાં છે ત્યારે માછીમાર સમાજે પીએમના કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. માછીમારો ભાડભુત ખાતે આકાર લઇ રહેલાં વિયર કમ કોઝવેનો વિરોધ કરી રહયાં છે.
માછીમારોને દહેશત છે કે, ભાડભુતથી છેક ઝનોર સુધીના માછીમારો દરિયામાંથી નર્મદા નદીમાં આવતી હિલ્સા સહિતની માછલીઓ પકડી રોજગારી મેળવે છે પણ બેરેજ બન્યા બાદ દરિયામાંથી નદીમાં આવતી માછલીઓ અટકી જશે અને 25 હજાર જેટલા માછીમારો બેકાર બની જશે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ છેલ્લા 12 વર્ષથી લડત ચલાવી રહયો છે. અને માછીમારોને વૈકલ્પિક રોજગારી મળે તે માટે 3 વર્ષથી રજુઆત કરવામાં આવી રહી હોવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. જો સાત દિવસમાં માગણીનો સ્વીકાર કરવામાં નહિ આવે તો 10મી ઓકટોબરે પીએમના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.
Attachments area


