નિસાર શેખ.મહુધા
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો.વિરેન્દ્રકુમારએ ખેડા જિલ્લાના મહુધા સ્થિત નશાબંધી મંડળ, ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસનમુક્તિ અને પુનઃસ્થાપન કેન્દ્રની મુલાકાત લઇ અન કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી હતી. તેઓશ્રીએ આ કેન્દ્રમાં દાખલ થયેલા દરેક દર્દીઓ સાથે વાર્તાલાપ કરી તેઓને વ્યસનને તિલાંજલી આપવા સમજૂત કર્યા હતા. તેઓ એ દદીઓ પાસેથી કેન્દ્ર દ્વારા આપવામાં આવતી સારવાર, ખોરાક વિશેની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, કેન્દ્રના માધ્યમથી નશાબંધી અભિયાનમાં ગુજરાતના તમામ વિભાગનો સહયોગ મળ્યો છે. ગુજરાત પુ.મહાત્મા ગાંધીજીની ભૂમિ છે. સામાજીક દુષણ ઘરોને પાયમાલ કરે છે. ગુજરાતમાં સીમાવર્તી રાજયોના માધ્યમથી નશાના કારોબારીઓએ તેઓના વ્યવસાયને વ્યાપ આપ્યો છે. નશાના કારોબારીઓએ યુવા પેઢીને ટાર્ગેટ કરી છે. હવે તેઓ યુવાનોની સાથે સાથે સ્કુલના બાળકોને પણ નશાના બંધાણી બનાવી રહયા છે ત્યારે સમાજના દરેક નાગરિકની ફરજ છે કે ભારતને નશામુકત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અભિયાનમાં સહયોગ આપે. દેશમાં ૨૭૨ જિલ્લામાં મોટા પ્રમાણમાં યુવાનો નશાના માર્ગે વળ્યા હોવાનો સર્વે થયેલો છે. આ વર્ષે પ્રાયોગીક ધોરણે આ પૈકીના ૧૦૦ જિલ્લાને નશામુકત બનાવવાનો સંકલ્પ સરકારે કર્યો છે. સરકાર એકલાથી આ કામ નહી થઇ શકે આમા સરકારની સાથે સાથે સમાજના દરેક નાગરિકોએ તેઓની ફરજ બજાવશે તો આપણું યુવાધન નશામુકત થશે. આ કાર્યમાં સામાજીક સંસ્થાઓ પણ તેઓનું યોગદાન આપી સમાજ સેવામાં સહભાગી બની શકશે.
ખેડા જિલ્લાની મહુધા ગામની મુલાકાત બાદ મંત્રી એ ડાકોરના રાજા રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભારતને નશામુકત બનાવવા માટેના અભિયાનને સફળ બનાવવા આર્શીવાદની યાચના કરી હતી તેમજ નડિયાદ સ્થિત પ્રસિધ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઇ સંતરામ મહારાજના આર્શીવચન મેળવ્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, મામલતદાર ક્રિશ્ર્નાબેન, સમાજ કલ્યાણ અધિકારી એલ.જી.ભરવાડ, કે.ટી.વાઘેલા, નશાબંધી મંડળના સેક્રેટરી લીલાબેન દેસાઇ, વાણીયા, નશાબંધી મંડળના ટ્રસ્ટ્રી જીતુભાઇ,નશાબંધી વિભાગના અધિકારીઓ, નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્રનો સ્ટાફ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.


