Gujarat

ગુજરાતમાં જ્ઞાતિવાદનું રાજકારણ નહીં ચાલે ઃ વજુભાઈ વાળા

રાજકોટ
ગુજરાતમાં ઓબીસી સમાજની સૌથી વધુ ૪૨ ટકા જેટલી વસતિ છે. એમાં ઠાકોર, કોળી જેવી જ્ઞાતિઓ પ્રભાવશાળી ગણાય છે. બીજા ક્રમે ૧૪થી ૧૫ ટકા સાથે આદિવાસી મતદારો છે, પરંતુ દક્ષિણ ગુજરાત, નર્મદા-ભરૂચ, ગોધરા અને સાબરકાંઠા વિસ્તાર પૂરતું તેમનું પ્રભુત્વ છે. ત્રીજા ક્રમે આશરે ૧૩થી ૧૫ ટકા સાથે પાટીદાર મતદારો છે, જે ગુજરાતમાં હંમેશાં પ્રભાવશાળી જ્ઞાતિ રહી છે. અનુસૂચિત જાતિ ૭-૮% વસતિ ધરાવે છે અને દરેક રાજકીય પક્ષ એને નોંધપાત્ર વોટબેંક તરીકે સ્વીકારે છે. ક્ષત્રિય સમાજ ૬ ટકા જેટલો છે, પરંતુ તેમાં ઓબીસીમાં સમાવિષ્ટ ક્ષત્રિયોને પણ ઉમેરવામાં આવે તો આ પ્રમાણ વધુ વધી જાય છે. બ્રાહ્મણ, વાણિયા, લોહાણા, જૈન ૪થી ૭ ટકા છે અને આ જ્ઞાતિઓ મોટા ભાગે ભાજપની કમિટેડ વોટબેંક ગણાય છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી રાજકીય દાવપેચ શરુ કર્યા છે. કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થયો છે. હવે તેઓ રાજકોટ આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે હાલ ભાજપમાં જ્ઞાતિના આધારે નેતાઓની પસંદગી થઈ રહી છે. આ મુદ્દે આજે મીડિયાને વજુભાઇએ જણાવ્યું હતું કે, પક્ષ નક્કી કરશે કઈ જ્ઞાતિમાંથી કોને ટિકિટ આપવી બાકી ગુજરાતમાં જ્ઞાતિવાદનું રાજકારણ નહીં ચાલે. જ્ઞાતિ આધારિત ચૂંટણી હોતી જ નથી હોય તો લાંબી ટકતી નથી, હું સાત વાર ચૂંટાયો છું. છતાં મારા સમાજના મતદારો વધુ હતા નહીં.વજુભાઈના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું કે હું ચૂંટણી લડવાનો નથી મારું એવું માનવું છે કે આ દેશના યુવાનોને ચૂંટણી લડવા માટેની તક આપવી જાેઈએ. ભાજપમાં એક માનસિકતા થઈ ગઈ છે કે જેને મોટું પદ મળ્યું હોય તો તે મોટો કાર્યકર્તા છે અને જેને નાનું પદ મળ્યું હોય તો તે નાનો કાર્યકર્તા છે. બસ એક આ માનસિકતા દૂર કરવાની જરૂર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના સિદ્ધાંત પ્રમાણે જે કાર્યકર્તાને પાર્ટી તરફથી પદ અને હોદ્દો આપવામાં આવે તેનું પાલન કરવું જાેઈએ જ્ઞાતિવાદ ની અંદર લોકો અપેક્ષા રાખે છે આજે કઈ જ્ઞાતિ એવી છે કે જે અપેક્ષા નથી રાખતી. કોઈ જ્ઞાતિ એમ કહે છે કે આ જ્ઞાતિના વ્યક્તિને પદ મળી ગયું એટલે તેનો વારો આવી ગયો હવે અમારો વારો આવવો જાેઈએ. આવું કંઈ હોય જ નહીં પક્ષ નક્કી કરશે કે કઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી. ભાજપ હંમેશા જ્ઞાતિવાદથી ઉપર રહ્યું છે આંતરિક જૂથવાદ અંગે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, બે કાર્યકરો વચ્ચે કાર્ય પદ્ધતિને લઇને વિસંગતતા જાેવા મળે છે આ વિસંગતતાઓ દૂર કરીને બધાને એક જૂથ થઈને કામ કરવું જાેઈએ અને રાજકોટ ભાજપમાં પણ ટૂંક સમયમાં આવું જાેવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *